Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

- ફાયર, NDRF તૈનાત, પ્રશાસન દ્વારા સાવચેતીની અપીલ.
Surat Heavy Rain: સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાડીઓ ઓવરફ્લો થતાં સંજયનગર, પાંડેસરા, પ્રેમનગર અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ અને NDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
સંજયનગરમાં પૂર જેવી સ્થિતિ, બે રેસ્ક્યૂ ટીમ તૈનાત
ભારે વરસાદ બાદ સુરતના સંજયનગર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે બે રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી રાખવામાં આવી છે. શહેરમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની સાથે NDRFની ટીમને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. લિંબાયત, કાંગારુ સર્કલ અને સાણીયા ગામ સહિતના વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમો સતત નજર રાખી રહી છે.
આ ઉપરાંત મીઠી ખાડી, ગીતાનગર, ડુંભાલ તેમજ પુણા પાટીયાથી ડીંડોલી રોડ પર આવેલા ખાડી બ્રિજ નજીક પણ ફાયર વિભાગની વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાડીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. ખાડી કિનારે આવેલા પ્રેમનગરમાં પાણી ઘૂસી જતાં અનેક ઘરો પ્રભાવિત થયા છે. કૃષ્ણનગર અને પાંડેસરાના લક્ષ્મીનારાયણ નગરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભેદવાડ ખાડીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા
ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. પ્રશાસન દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Gujarat Rain: ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
પ્રશાસન એલર્ટ, લોકોને સાવચેતી રાખવા અપીલ
સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને ખાડી અને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તથા કોઈપણ ઈમરજન્સીમાં તાત્કાલિક કંટ્રોલ રૂમ અથવા ફાયર વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.






















