હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને ઈરાનની કડક ચેતવણી, પ્રોટાકોલનું પાલન ન કરનારને ભોગવું પડશે ગંભીર પરિણામ
ઈરાને ફરી આપી હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજોને ધમકી આપી છે. કહ્યું કે, ‘નિયમોનું પાલન નહીં કરો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

હોર્મુઝસ્ટ્રેટને લઈને ઈરાને ફરી એકવાર કડક ચેતવણી જાહેર કરી છે. તેહરાનનું કહેવું છે કે, જહાજરાની વહીવટ અથવા જહાજોના અવરજવરમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી કરવામાં આવશે તો તેનો તાત્કાલિક અને કડક જવાબ આપવામાં આવશે.
ઈરાને હોર્મુઝ જળસંધિ પર પોતાની સંપ્રભુતાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી પસાર થતા તમામ વેપારી અને નૌકાદળના જહાજોએ જહાજરાની સંબંધિત તમામ પ્રોટોકોલનું કડક પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
IRGCએ જાહેર કર્યું નિવેદન
ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઈરાની સેનાના કેન્દ્રીય મુખ્યાલય ખતમ અલ-અનબિયાએ જણાવ્યું છે કે હોર્મુઝ જળસંધિનું સંચાલન સંપૂર્ણ રીતે ઈરાનના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. સૈન્ય કમાન્ડે ભારપૂર્વક જણાવ્યું કે તમામ જહાજો, વેપારી વહાણો અને તેલના ટેન્કરોએ માત્ર નિર્ધારિત માર્ગોનો જ ઉપયોગ કરવો પડશે અને ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નૌકાદળ પાસેથી જરૂરી મંજૂરી મેળવવી પડશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું પાલન ન કરવાથી જહાજોની સુરક્ષા ગંભીર રીતે જોખમમાં પડી શકે છે. તેહરાને આ વિસ્તારમાં તૈનાત આંતરરાષ્ટ્રીય નૌકાદળોને પણ ચેતવણી આપી છે કે જહાજરાની વહીવટ અથવા જહાજોના ટ્રાફિકમાં કોઈપણ પ્રકારની દખલગીરી કે અવરોધ ઉભો કરવામાં આવશે તો તાત્કાલિક જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે કતારે હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારનો કાયમી સમુદ્રી કર (મેરિટાઈમ ટેક્સ) લાદવાના વિચારનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
જહાજો પાસેથી ટેક્સ વસૂલવાના વિરોધમાં કતર
સિંગાપુરમાં યોજાયેલા શાંગ્રી-લા ડાયલોગ સુરક્ષા શિખર સંમેલનમાં કતારના ઉપપ્રધાનમંત્રી અને રક્ષા બાબતોના રાજ્ય મંત્રી શેખ સાઉદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ જણાવ્યું કે દોહા અને તેના પ્રાદેશિક સહયોગીઓ અનિશ્ચિત સમય માટે કોઈપણ પ્રકારના કાયમી કરના વિરોધમાં છે. તેમણે કહ્યું કે, કતર અને ખાડી દેશોના ભાગીદારોએ સ્પષ્ટ કર્યું છે કે આવા કરનો ભાર અંતે ગ્રાહકો પર જ પડે છે, તેથી અમે તેના વિરોધમાં છીએ.
જોકે, કતારના મંત્રીએ સંકેત આપ્યો કે કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં અસ્થાયી નાણાકીય વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું કે જો ઈરાન કહે કે આ રકમનો ઉપયોગ દરિયામાં બિછાવવામાં આવેલી માઇન્સ દૂર કરવા અથવા અન્ય કોઈ અસ્થાયી હેતુ માટે કરવામાં આવશે, તો તે ચર્ચા કરી શકાય એવો મુદ્દો બની શકે છે.






















