ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
રશિયાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેકઓફ પછી એક વિમાન હવામાં જ ગાયબ થઈ ગયું. એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો.

Russian Plane: એક રશિયન પેસેન્જર વિમાન ઉડાન ભર્યા પછી હવામાં જ ગાયબ થઈ ગયું. રોઇટર્સના અહેવાલ મુજબ, વિમાનમાં 50 લોકો સવાર હતા અને તે ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહ્યું હતું, પરંતુ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અધવચ્ચે જ તૂટી ગયો. હાલની માહિતી મુજબ, વિમાનમાં ક્રૂ સભ્યો સાથે મુસાફરો પણ હતા.
Air traffic controllers lost contact with an An-24 passenger plane carrying about 50 people in Russia's far east, and a search was underway, the regional governor said: Reuters
— ANI (@ANI) July 24, 2025
ગુરુવારે રશિયાનું An-24 પેસેન્જર પ્લેન ગાયબ થઈ ગયું હતું અને તેની શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. સ્થાનિક કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન એરલાઇન અંગારાનું આ પેસેન્જર પ્લેન અચાનક રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું અને હજુ સુધી તેનો સંપર્ક થઈ શક્યો નથી. વિમાનમાં પાંચ બાળકો અને છ ક્રૂ સભ્યો સહિત 50 જેટલા મુસાફરો હોવાની વાત સામે આવી છે. વિમાન ચીનની સરહદે આવેલા ટિંડા શહેરની નજીક આવી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. હવામાન અને આ વિસ્તારની દુર્ગમતા શોધ કામગીરીમાં પડકારો ઉભા કરી રહી છે.
અમુર પ્રદેશના ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે વિમાનને શોધવા માટે તમામ જરૂરી સંસાધનો એકત્રિત કરવામાં આવ્યા છે. કટોકટી મંત્રાલય અને અન્ય બચાવ એજન્સીઓ શોધ કામગીરીમાં રોકાયેલા છે.
સર્ચ ઓપરેશન શરુ
રશિયન કટોકટી મંત્રાલયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. હાલમાં ગુમ થયેલા વિમાનને શોધવા માટે હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. ખરાબ હવામાન અને વિસ્તારની દુર્ગમતાને કારણે શોધ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી અધિકારીઓએ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી કે વિમાન ક્રેશ થયું છે કે કટોકટી ઉતરાણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશની નજર હવે આ મિશન પર ટકેલી છે. મુસાફરોના સંબંધીઓ એરપોર્ટ પર એકઠા થયા છે અને તેમને સતત માહિતી આપવામાં આવી રહી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ એક વિમાન ગાયબ થયું હતું
આ વર્ષે ફેબ્રુઆરીમાં અલાસ્કામાં બેરિંગનું વિમાન ગાયબ થઈ ગયું હતું. ઉનાલકલીટથી નોમ જઈ રહેલું વિમાન ટેકઓફ કર્યા પછી ક્યાં ગયું તે જાણી શકાયું ન હતું. વિમાન સમયસર નોમ પહોંચ્યું ન હતું. તેમાં 9 મુસાફરો અને એક પાયલોટ સવાર હતા. જોકે, બીબીસીના અહેવાલ મુજબ, યુએસ કોસ્ટ ગાર્ડ્સને ફેબ્રુઆરીમાં થોડા સમય પછી વિમાનનો કાટમાળ મળ્યો હતો. વિમાનમાં સવાર લોકોના મૃત્યુની પણ પુષ્ટિ કરવામાં આવી હતી.





















