મધ્ય પૂર્વમાં ભડકેલા યુદ્ધને શાંત કરવા અને દુનિયાને મોટા ઊર્જા સંકટમાંથી બચાવવા માટે આ મંત્રણા થઈ રહી છે.
47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?
ઈસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાટોમાં હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દે અટવાઈ વાત; જાણો અત્યાર સુધી બેઠકમાં શું-શું થયું અને રવિવારે શું થશે.

- ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ.
- યુદ્ધવિરામ, ઊર્જા સંકટ અને તણાવ ઘટાડવા પર ચર્ચા.
- હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે મતભેદ, રવિવારે પણ વાતચીત ચાલુ.
- ઈરાને લેબનોન હુમલા રોકવા અને સંપત્તિ મુક્ત કરવાની શરત મૂકી.
મધ્ય પૂર્વમાં (Middle East) ભડકેલા યુદ્ધને શાંત કરવા અને દુનિયાને મોટા ઊર્જા સંકટમાંથી બચાવવા માટે શનિવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ થઈ ગઈ છે. 1979 ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના ટોચના નેતાઓ એક જ ટેબલ પર સામસામે બેસીને સીધી વાતચીત કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મધ્યસ્થી હેઠળ શરૂ થયેલી આ બેઠકમાં યુદ્ધવિરામ, ઉર્જા સંકટ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, હજુ પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર મતભેદો યથાવત છે અને હવે રવિવારે પણ આ વાતચીતનો દોર ચાલુ રહેશે.
કેવો રહ્યો વાતચીતનો માહોલ?
વાટાઘાટો શરૂ થાય તે પહેલાં, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે બંને દેશોના પ્રતિનિધિમંડળો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી, જે પછી ઔપચારિક સીધી વાતચીતનો પ્રારંભ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે એકદમ શાંત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીતના અનેક રાઉન્ડ થયા છે. બંને પક્ષોએ સાથે ડિનર પણ લીધું હતું અને પોતાના વિચારોની આપ-લે કરી હતી. જોકે, દુનિયાભરના વેપાર માટે સૌથી મહત્વના એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' (દરિયાઈ માર્ગ) ના મુદ્દે હજુ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ સધાઈ નથી. આથી હવે રવિવારે વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાશે.
મંત્રણામાં કયા દિગ્ગજો છે સામેલ?
અમેરિકા તરફથી ડીલ કરાવવા માટે ખુદ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ (J.D. Vance) મેદાનમાં છે, અને તેમની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર પણ છે. જ્યારે ઈરાન તરફથી સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ, વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર સહિતના ટોચના અધિકારીઓની ફોજ હાજર છે.
યુદ્ધવિરામ છતાં કેમ છે તણાવ?
નોંધનીય છે કે 4 દિવસ પહેલા જ બંને દેશો વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ જાહેર કરાયો હતો. પરંતુ લેબનોનમાં ઈઝરાયલના હુમલામાં 300 થી વધુ લોકો માર્યા ગયા બાદ માહોલ ફરી ગરમાયો છે. ઈરાન આને યુદ્ધવિરામનું સીધું ઉલ્લંઘન માને છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયલનું કહેવું છે કે લેબનોન આ કરારનો હિસ્સો નથી. ઈરાને વાતચીત આગળ વધારવા માટે લેબનોન પરના હુમલા બંધ કરવા અને પોતાની ફ્રીઝ થયેલી સંપત્તિઓ મુક્ત કરવાની શરત મૂકી છે. ઈરાનનું કહેવું છે કે, "અમારી પાસે સદ્ભાવના છે, પરંતુ અમેરિકા પર કોઈ વિશ્વાસ નથી."
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા 2 અમેરિકી યુદ્ધ જહાજો
આ બધાની વચ્ચે, યુએસ સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) એક મોટી માહિતી આપતા જણાવ્યું છે કે અમેરિકાના 2 યુદ્ધ જહાજો (યુએસએસ ફ્રેન્ક ઇ. પીટરસન અને યુએસએસ માઈકલ મર્ફી) 'હોર્મુઝ સ્ટ્રેટ' માંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. અમેરિકી સેનાનો દાવો છે કે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા દરિયામાં લેન્ડમાઈન (ખાણો) બિછાવવામાં આવી હતી, જેને સાફ કરવાના મિશનના ભાગરૂપે આ જહાજો મોકલવામાં આવ્યા છે.
ઈસ્લામાબાદ છાવણીમાં ફેરવાયું
આ હાઈ-પ્રોફાઈલ મંત્રણાને પગલે ઈસ્લામાબાદમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 10,000 થી વધુ પોલીસ અને સુરક્ષાકર્મીઓ આખા શહેરમાં તૈનાત છે અને રેડ ઝોન વિસ્તારને સેના અને રેન્જર્સે સંપૂર્ણપણે ઘેરી લીધો છે. તમને જણાવી દઈએ કે, અગાઉ 2013 માં ઓબામા અને રૂહાની વચ્ચે માત્ર ફોન પર વાત થઈ હતી, પરંતુ સામસામે બેસીને વાત કરવાનો આ 1979 પછીનો પહેલો પ્રસંગ છે.
Frequently Asked Questions
અમેરિકા અને ઈરાન વચ્ચે શા માટે શાંતિ મંત્રણા થઈ રહી છે?
ઈસ્લામિક ક્રાંતિ પછી આ પ્રથમ વખત છે કે બંને દેશોના નેતાઓ સામસામે બેઠા છે?
હા, 1979 ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના ટોચના નેતાઓ એક જ ટેબલ પર સામસામે બેસીને સીધી વાતચીત કરી રહ્યા છે.
શાંતિ મંત્રણામાં કયા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે?
આ બેઠકમાં યુદ્ધવિરામ, ઉર્જા સંકટ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
હાલમાં કયા મહત્વના મુદ્દા પર મતભેદો યથાવત છે?
દુનિયાભરના વેપાર માટે સૌથી મહત્વના એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' (દરિયાઈ માર્ગ) ના મુદ્દે હજુ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ સધાઈ નથી.
ઈરાને વાતચીત આગળ વધારવા માટે કઈ શરતો મૂકી છે?
ઈરાને લેબનોન પરના હુમલા બંધ કરવા અને પોતાની ફ્રીઝ થયેલી સંપત્તિઓ મુક્ત કરવાની શરત મૂકી છે.





















