Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશો
Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાય છે. રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ 40 કિમી લાંબા સી લિંક પ્રોજેક્ટના અંતિમ સર્વે સ્થાનને મંજૂરી આપી દીધી છે. આ સાથે, ડીપીઆર તૈયાર કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચના દહેજ અને ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગ પર બાંધવામાં આવનાર સી લિંક રેલ્વે પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈને સીધો જોડશે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ રેલ્વે સી લિંક પ્રોજેક્ટ છે. હાલમાં, ભાવનગરથી સુરતનું 530 કિમીનું અંતર કાપવામાં 9 કલાક લાગે છે, જે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ઘટીને 160 કિમી થઈ જશે અને ફક્ત 3 કલાકમાં કાપી શકાશે. બીજી તરફ, દહેજથી પોરબંદર-દ્વારકા ઓખા સુધીની 924 કિમી લાંબી કોસ્ટલ રેલ્વે લાઇન માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. નવી રેલ્વે લાઇનનો સૌથી મોટો લાભ સૌરાષ્ટ્રના મુસાફરોને થશે. અત્યાર સુધી તેમને અમદાવાદ, વડોદરા અને આણંદ થઈને 500 કિમીનું વધારાનું અંતર કાપવું પડતું હતું. પરંતુ આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યા પછી વધારાનું અંતર કાપવું પડશે નહીં.





















