Cyclone Shakti: વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે, જેના કારણે જામનગર અને કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. આ દરમિયાન 65 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર એકથી બે દિવસમાં શરૂ થઈ જશે.
વાવાઝોડાની સાથે સાથે પશ્ચિમી વિક્ષેપ પણ આવી રહ્યો હોવાથી રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે. આગાહી પ્રમાણે, 4 થી 8 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે અને તેની અસર 10મી ઓક્ટોબર સુધી પણ રહી શકે છે. આ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. વધુમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. જોકે, આ સમયે થનારા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમના મગફળીના પાકમાં 'પડ્યા પર પાટુ' જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
















