'પરસ્પર સહમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બળાત્કાર ગણાય નહીં', અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સિંગલ બેન્ચે આરોપીની અરજી પર સુનાવણી કર્યા પછી ચાર્જશીટ અને રામપુર નીચલી કોર્ટમાં પેન્ડિંગ તમામ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી હતી

એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને સંબંધો તૂટી જાય અથવા લગ્નનું વચન પૂર્ણ ન થાય તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં ફોજદારી પ્રક્રિયાનો દુરુપયોગ થવા દેવો જોઈએ નહીં.
રામપુર જિલ્લાના રહેવાસી અજય સૈની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં આ ચુકાદો આવ્યો હતો. જસ્ટિસ અવનીશ સક્સેનાની સિંગલ બેન્ચે આરોપીની અરજી પર સુનાવણી કર્યા પછી ચાર્જશીટ અને રામપુર નીચલી કોર્ટમાં પેન્ડિંગ તમામ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી હતી. કેસ અનુસાર, એક યુવતીએ 2024માં અજય સૈની સામે બળાત્કારનો આરોપ લગાવીને FIR દાખલ કરી હતી. પીડિતાએ દાવો કર્યો હતો કે 2019 માં આરોપી તેને નોકરી અપાવવાના બહાને મુરાદાબાદ લઈ ગયો, તેને ડ્રગ્સ આપ્યું અને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેણે લગ્નના બહાને ચાર વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું. જ્યારે તેણીને ખબર પડી કે આરોપી બીજા કોઈ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાના નિવેદનમાં વિરોધાભાસ
કોર્ટે પીડિતાના નિવેદનોમાં અનેક વિરોધાભાસ નોંધ્યા હતા. FIRમાં હોટલના રૂમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે પછીના નિવેદનોમાં રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે પીડિતા શિક્ષિત હતી અને ચાર વર્ષથી કોઈ પણ ફોરમમાં આ ઘટનાની જાણ કરી ન હતી. જસ્ટિસ સક્સેનાએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેનો સંબંધ સંમતિથી અને લાંબા સમય સુધી ચાલતો હતો. સંબંધ તૂટ્યા પછી તેને ગુનાહિત બનાવવો યોગ્ય નથી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે બળાત્કાર જેવા ગંભીર ગુનાની કલમોનો ઉપયોગ ફક્ત વાસ્તવિક જાતીય હિંસા, બળજબરી અથવા છેતરપિંડીના સ્પષ્ટ કેસોમાં જ થવો જોઈએ.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, "દરેક નિષ્ફળ અથવા તૂટેલા સંબંધને બળાત્કારના કેસમાં ફેરવવાથી ગુનાની ગંભીરતા ઓછી થાય છે, પરંતુ આરોપી પર કાયમી સામાજિક કલંક પણ લાગી જાય છે. કાનૂની પ્રક્રિયાના આવા દુરુપયોગને અટકાવવો જોઈએ." આ નિર્ણયને એવા કેસોમાં એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે જ્યાં લગ્નના વચન તોડ્યા પછી બળાત્કારનો આરોપ મૂકવામાં આવે છે.























