IARC એ ત્રણ દવાઓના મુખ્ય ઘટકોને 'ગ્રુપ 1' માં મૂક્યા છે, જે મનુષ્યોમાં કેન્સર પેદા કરી શકે છે. આમાં બ્લડ પ્રેશરની દવા હાઇડ્રોક્લોરોથિયાઝાઇડનો સમાવેશ થાય છે.
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની કેન્સર રિસર્ચ એજન્સી IARC એ બ્લડ પ્રેશરની દવાઓ સહિત 3 દવાઓમાં વપરાતા તત્વોને કેન્સર પેદા કરતા પદાર્થોના લિસ્ટમાં સામેલ કર્યા છે. જાણો આ અંગેની સંપૂર્ણ વિગતો.

- WHO એ ત્રણ દવાઓના ઘટકોને કેન્સરજનક જાહેર કર્યા.
- BP દવા હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ ત્વચા કેન્સરનું જોખમ વધારે.
- વોરીકોનાઝોલ, ટેક્રોલિમસ પણ વિવિધ કેન્સરનું જોખમ વધારે.
- દવા બંધ કરતા પહેલા હંમેશા ડોક્ટરની સલાહ લો.
BP Medicine Cancer Risk: જો તમે કે તમારા પરિવારમાં કોઈ હાઈ બ્લડ પ્રેશર (BP) ની દવા લેતું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની કેન્સર સંશોધન એજન્સી, ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટનો મુખ્ય નિષ્કર્ષ એ છે કે IARC એ ત્રણ દવાઓમાં વપરાતા મુખ્ય ઘટકોને મનુષ્યોમાં કેન્સર પેદા કરી શકતા પદાર્થોની યાદીમાં મૂક્યા છે. આ ત્રણ દવાઓમાં હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ (Hydrochlorothiazide), વોરીકોનાઝોલ (Voriconazole) અને ટેક્રોલિમસ (Tacrolimus) નો સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ વિવિધ ગંભીર બીમારીઓની સારવારમાં થાય છે, પરંતુ જેમાં હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ એ હાઈ BP ના દર્દીઓમાં સૌથી વધુ અને વ્યાપકપણે વપરાતી દવા છે. સ્વાભાવિક છે કે આ અહેવાલ બહાર આવતા જ નિયમિત BP ની દવા લેતા લોકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નું શું કહેવું છે?
તમામ ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ, IARC એ આ ત્રણેય દવાઓને 'ગ્રુપ 1' (Group 1) ની શ્રેણીમાં વર્ગીકૃત કરી છે. આ ગ્રુપમાં એવા પદાર્થો આવે છે જેના વિશે વૈજ્ઞાનિકો પાસે પાક્કા પુરાવા હોય કે તે મનુષ્યોમાં કેન્સરનું કારણ બની શકે છે.
પરંતુ, તમારે અહી ગભરાવાની જરૂર નથી. આનો અર્થ એવો બિલકુલ નથી થતો કે આ દવાઓ લેનાર દરેક વ્યક્તિને કેન્સર થશે જ. દવાના કારણે કેન્સરનું જોખમ કેટલું વધે છે તેનો આધાર ઘણા બધા પરિબળો પર રહેલો હોય છે, જેમ કે દર્દી કેટલા સમયથી દવા લે છે, દવાનો ડોઝ કેટલો છે અને વ્યક્તિની અન્ય શારીરિક અને સ્વાસ્થ્ય સ્થિતિ કેવી છે.
BP ની દવા હાઇડ્રોક્લોરોથિયાઝાઇડને લઈને શું છે ચિંતા?
હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ એક એવી દવા છે જેનો ઉપયોગ મુખ્યત્વે હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા અને શરીરમાંથી વધારાનું પાણી ઓછું કરવા માટે થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં ડૉક્ટરો દર્દીઓને અન્ય BP ની દવાઓ સાથે આ દવા મિક્સ કરીને આપતા હોય છે.
IARC ના રિપોર્ટ મુજબ, હાઇડ્રોક્લોરોથિયાઝાઇડના લાંબા ગાળાના ઉપયોગ અને અમુક ખાસ પ્રકારના સ્કિન કેન્સર (ત્વચાના કેન્સર) વચ્ચે સીધો સંબંધ હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. આમાં ત્વચાના 'સ્ક્વામસ સેલ કાર્સિનોમા' અને હોઠના કેન્સરનો સમાવેશ થાય છે. બીજી એક મહત્વની અને ચિંતાજનક વાત એ છે કે આ દવાથી ત્વચામાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો પ્રત્યે સંવેદનશીલતા વધી શકે છે. એટલે કે, સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી રહેવા અંગે વૈજ્ઞાનિકોએ ખાસ ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા રોજ પીવો આ શાકભાજીનો 1 ગ્લાસ રસ!
શું આ દવા માટે ચિંતા નવી છે?
ના, કેન્સરના જોખમ બાબતે અગાઉ પણ હાઇડ્રોક્લોરોથિયાઝાઇડને "કદાચ કાર્સિનોજેનિક" (કેન્સરકારક) તરીકે ઓળખવામાં આવી હતી. પરંતુ હવે, નવા વૈજ્ઞાનિક પુરાવાઓ, માનવ અને પ્રાણીઓ પરના અભ્યાસો તેમજ દવાની શરીર પર થતી અસરોના ડેટાની કડક ચકાસણી કર્યા પછી, તેને 'ગ્રુપ 1' માં અપગ્રેડ કરી દેવામાં આવી છે.
વોરીકોનાઝોલ અને ટેક્રોલિમસ શું છે?
વોરીકોનાઝોલ (Voriconazole): આ કોઈ BP ની દવા નથી. તેનો ઉપયોગ સામાન્ય રીતે ગંભીર ફંગલ ઇન્ફેક્શનને મટાડવા માટે થાય છે, ખાસ કરીને એવા દર્દીઓમાં જેમની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ખૂબ નબળી હોય અથવા જેમને ચેપનું જોખમ વધુ હોય. IARC ના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ દવાના ઉપયોગથી પણ ત્વચાના સ્ક્વામસ સેલ કાર્સિનોમા થવાના પૂરતા પુરાવા છે. આ દવા લેતી વખતે સૂર્યપ્રકાશથી ત્વચાને થતા નુકસાનને પણ નોંધવામાં આવ્યું છે.
ટેક્રોલિમસ (Tacrolimus): આ પણ BP ની દવા નથી. આ દવાનો ઉપયોગ મોટાભાગે એવા દર્દીઓમાં થાય છે જેમણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (અંગ પ્રત્યારોપણ) કરાવ્યું હોય. આ દવા શરીરની રોગપ્રતિકારક શક્તિને દબાવી દે છે જેથી શરીર નવા અંગનો અસ્વીકાર ન કરે. IARC મુજબ, આ દવા લેવાથી 'નોન-હોજકિન લિમ્ફોમા' અને ત્વચાના કેટલાક પ્રકારના કેન્સર વચ્ચેના જોડાણના વૈજ્ઞાનિક પુરાવા છે.
આ પણ વાંચોઃ છાતીમાં દુખાવો: હાર્ટ એટેક કે ગેસ? આ રીતે ઓળખો લક્ષણો
તો શું તમારે જાતે જ BP ની દવા લેવાનું બંધ કરી દેવું જોઈએ?
આ રિપોર્ટ વાંચ્યા પછી તમારે કોઈ પણ ઉતાવળિયું પગલું નથી ભરવાનું. સૌથી મહત્વની વાત એ છે કે ડૉક્ટરની સલાહ લીધા વિના તમારે જાતે જ તમારી BP ની દવા લેવાનું બંધ ન કરવું જોઈએ. જો તમે અચાનક દવા બંધ કરશો, તો તમારું હાઈ બ્લડ પ્રેશર અનિયંત્રિત થઈ જશે, જેના કારણે સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડની ફેલ થવાનું ગંભીર જોખમ વધી જશે.
જો તમારી બ્લડ પ્રેશરની દવામાં 'હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ' ઘટક હોય અને તમને આ રિપોર્ટ વાંચીને ચિંતા થતી હોય, તો તરત જ તમારા ડૉક્ટર સાથે વાત કરો. તમારા ડૉક્ટર તમારી હેલ્થ કન્ડિશનનું મૂલ્યાંકન કરશે અને નક્કી કરશે કે તમારે આ જ દવા ચાલુ રાખવી જોઈએ કે પછી તમારા માટે કોઈ બીજો સુરક્ષિત વિકલ્પ સારો રહેશે.
તડકાથી તમારી ત્વચાનું રક્ષણ કરો
જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ દવા લઈ રહી છે, તો તેમણે કાળઝાળ તડકામાં બહાર નીકળતી વખતે પોતાની ત્વચાનું ખાસ રક્ષણ કરવું જોઈએ. જરૂરિયાત મુજબ સૂર્યપ્રકાશથી બચવાના ઉપાયો (જેમ કે સનસ્ક્રીન, પૂરા કપડાં વગેરે) અપનાવવા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં આપેલી માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. કૃપા કરીને આને કોઈ તબીબી સલાહ (Medical Advice) ન સમજવી. સ્વાસ્થ્યને લગતી કોઈપણ નવી પ્રવૃત્તિ કે દવામાં ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત હેલ્થ એક્સપર્ટની સલાહ અચૂક લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
Frequently Asked Questions
WHO ના IARC રિપોર્ટનો મુખ્ય સાર શું છે?
IARC દ્વારા કઈ દવાઓને કેન્સરકારક શ્રેણીમાં મૂકવામાં આવી છે?
IARC એ હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ (બ્લડ પ્રેશર), વોરીકોનાઝોલ (ફંગલ ઇન્ફેક્શન) અને ટેક્રોલિમસ (અંગ પ્રત્યારોપણ) ને 'ગ્રુપ 1' ની શ્રેણીમાં વર્ગીકૃત કરી છે.
જો મારી BP ની દવામાં હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ હોય તો શું મારે તે લેવાનું બંધ કરી દેવું જોઈએ?
ના, ડૉક્ટરની સલાહ લીધા વિના દવા બંધ ન કરો. અચાનક દવા બંધ કરવાથી બ્લડ પ્રેશર અનિયંત્રિત થઈ શકે છે, જે ગંભીર જોખમો તરફ દોરી શકે છે. તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ અને કેન્સર વચ્ચે શું સંબંધ છે?
IARC મુજબ, હાઇડ્રોક્લોરોથિયાઝાઇડના લાંબા ગાળાના ઉપયોગથી ત્વચાના સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને હોઠના કેન્સરનું જોખમ વધે છે. તે ત્વચાને સૂર્યના UV કિરણો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.






















