અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યૂ-મેલેરિયા વિરોધી મેગા ડ્રાઇવ: ૧૯૫૮ સ્થળોએ તપાસ, ૩૦૨ને નોટિસ
આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો, પોરા મળતાં તાત્કાલિક કાર્યવાહી.

Ahmedabad dengue malaria drive: અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળા, ખાસ કરીને ડેન્ગ્યૂ અને મેલેરિયાને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરિયા શાખાના સંકલનમાં રહીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યૂ મેલેરિયા વિરોધી મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેગા ડ્રાઇવ અંતર્ગત ટાયર પંચરની દુકાનો, ભંગારની દુકાનો, આંગણવાડી કેન્દ્રો, સરકારી અને ખાનગી શાળાઓ, ગ્રામ પંચાયતો, એસટી ડેપો, ધાર્મિક સ્થળો સહિત કુલ ૧૯૫૮ શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૧૭ પાત્રોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતા, જેનો આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ૩૦૨ વ્યક્તિઓ અને દુકાનોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેશ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (NCVBDC) અંતર્ગત આ કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે, પરંતુ હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ માટે વધુ અનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મેલેરિયાના લક્ષણો અને તપાસ:
જો કોઈ વ્યક્તિને ઊલ્ટી ઊબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય અથવા ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઈને તાત્કાલિક નિઃશુલ્ક લોહીની તપાસ કરાવી લેવી જોઈએ.
મેલેરિયાથી બચવાના ઉપાયો:
મેલેરિયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે, તેથી મચ્છરની ઉત્પત્તિ અટકાવવી સૌથી મહત્વપૂર્ણ છે.
- પાણીનાં ખુલ્લાં વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખો.
- પાણીની ટાંકી, ફુલદાની, કૂલર, ફ્રીજની ટ્રે વગેરેને અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો.
- ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પૂરી દો અથવા તો પાણીનો નિકાલ કરો.
- કોઈ પણ પ્રકારનો તાવ મેલેરિયા હોઈ શકે છે, તેથી તાવ આવે તો તુરંત તબીબી સલાહ લો.
અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, મચ્છરની ઉત્પત્તિ અટકાવવાથી જ મેલેરિયા જેવા રોગોને થતા રોકી શકાશે. આમ, આરોગ્ય વિભાગ અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખી શકાશે.





















