ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર: "સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડતા પણ મને આવડે છે"
અમદાવાદ: કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના આગવા અને દબંગ અંદાજમાં હુંકાર કર્યો હતો. તેમણે સમાજને ખાતરી આપતા જણાવ્યું કે, "બધા જાણે છે કે હું વધારે બોલતો નથી, પણ તમે ચિંતા ન કરતા, હું તમને કોઈ ટેન્શન આવવા નહીં દઉં.

અમદાવાદ: કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના આગવા અને દબંગ અંદાજમાં હુંકાર કર્યો હતો. તેમણે સમાજને ખાતરી આપતા જણાવ્યું કે, "બધા જાણે છે કે હું વધારે બોલતો નથી, પણ તમે ચિંતા ન કરતા, હું તમને કોઈ ટેન્શન આવવા નહીં દઉં. જો તમને કોઈ ધોકા મારશે તો સામે પરસોત્તમ સોલંકી ઊભો છે એ યાદ રાખજો; હવે જેને જે સમજવું હોય તે સમજે."
પોતાને કોળી સમાજનો દીકરો ગણાવતા સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમને કોઈ 'લાલાપોપા' આવડતા નથી અને તેઓ કોઈના પગે પડે તેવા નેતા નથી. તેમણે ઉમેર્યું કે, તેઓ સરકાર પાસે પણ કશું માંગતા નથી, પરંતુ જો સમાજના લોકો પર અત્યાચાર થશે તો તેઓ સૌથી પહેલાં આવીને ઊભો રહીશ. સમાજની રાજકીય તાકાત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્યો છે અને ભવિષ્યમાં હજુ વધુ ધારાસભ્યો બને તેવી તેમની ઈચ્છા છે.
25 જાન્યુઆરીના રોજ પણ ધોકા ઉપાડવાની વાત કરી હતી
નોંધનિય છે કે, ગુજરાતના રાજકારણમાં પોતાના દબંગ અંદાજ માટે જાણીતા અને કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીએ ફરી એકવાર આક્રમક નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે તેમણે જાહેર મંચ પરથી વિરોધીઓને આડકતરી રીતે ચીમકી આપતા 'ધોકા' ઉપાડવાની વાત કરી છે.
"હું કોઈના પગે પડું તેવો નથી"
પોતાના આગવા અંદાજમાં સમાજને સંબોધતા પરસોત્તમ સોલંકીએ કહ્યું કે, "બધાને ખબર છે હું બહુ બોલતો નથી, પણ જે બોલું છું તે કરીને બતાવું છું. મને કોઈ 'લાલાપોપા' આવડતા નથી અને હું કોઈના પગે પડું તેવો પણ નથી. હું સરકાર પાસે પણ કંઈ માંગતો નથી. હું તો માત્ર કોળી સમાજનો દીકરો છું અને સમાજની સેવા કરવી એ જ મારો ધર્મ છે."
જ્યારે જરૂર પડશે ત્યારે ધોકા ઉપાડશે પરસોત્તમ સોલંકી
રાજકારણીઓ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, "ભાષણ તો બધા રાજકારણીઓ કરે છે અને વાતો કરીને ભાગી જાય છે, પણ હું એમાંનો નથી. ચિંતા ન કરતા, તમને કોઈ ટેન્શન નહીં આપું. પરંતુ જો તમને કોઈ ધોકા મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઊભો છે. સમાજના લોકો પર અત્યાચાર થશે તો હું સૌથી પહેલા આવીશ અને જરૂર પડશે તો ધોકા પણ હું જ ઉપાડીશ. જેને જે સમજવું હોય તે સમજે, મને બીજું કંઈ આવડતું નથી."
રાજકારણ નહીં, સેવા એ જ લક્ષ્ય
તેમણે વધુમાં જણાવ્યું કે, "મને કોઈ મર્યાદા નડતી નથી. હું રાજકારણ કરતો નથી અને મને તે આવડતું પણ નથી. દુઃખીની સામે દુઃખી અને સુખીની સામે સુખી બનીને ઊભો રહેવો એ જ મારી રીત છે. ભાવનગર, ગાંધીનગર કે ઉના... હું ગમે ત્યાં હોઉં, સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો સીધા આવી જજો. તમારા અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો."
કોળી સમાજનું રાજકીય વર્ચસ્વ
આ તકે તેમણે કોળી સમાજની રાજકીય શક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્યો છે. મારી ઈચ્છા છે કે હજુ વધુમાં વધુ કોળી સમાજના લોકો ધારાસભ્ય બને અને સમાજ મજબૂત થાય."
નોંધનીય છે કે, 25 જાન્યુઆરીના રોજ કોડીનાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકીનો આ 'ધોકાવાળો' અંદાજ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો. તેમના આ નિવેદનથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.























