'સૌથી સુંદર જગ્યાઓમાંની એક...', CM ઓમર અબ્દુલ્લાએ શેર કરી સાબરમતી રિવરફ્રન્ટની તસવીર, PM મોદીએ કર્યું રિએક્ટ
તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં ભાગ લીધો હતો

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) માં ભાગ લીધો હતો. આ પ્રવાસનો હેતુ રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ પર સવારે દોડતા હોય તેવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
While in #Ahmedabad for a tourism event I took advantage of being here to get my morning run at the famed Sabarmati River Front promenade. It’s one of the nicest places I’ve been able to run & it was a pleasure to get to share it with so many other walkers/runners. I even managed… pic.twitter.com/q9GbLcnDgz
— Omar Abdullah (@OmarAbdullah) July 31, 2025
ઓમર અબ્દુલ્લાએ ‘એક્સ’ પર લખ્યું હતું કે "અમદાવાદમાં એક પર્યટન કાર્યક્રમમાં ભાગ લેતી વખતે મેં અહીં હોવાનો ફાયદો ઉઠાવતા મારી સવારની દોડ સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્ણ કરી હતી. તે દોડવા કરવા માટે સૌથી અદ્ભુત સ્થળોમાંનું એક છે અને આટલી મોટી સંખ્યામાં વોકર્સ અને દોડવીરો સાથે તેને શેર કરવાનો આનંદ થયો. હું અહીં અદભૂત અટલ ફૂટ બ્રિજ પાસે પણ દોડ્યો."
Kashmir to Kevadia!
— Narendra Modi (@narendramodi) July 31, 2025
Good to see Shri Omar Abdullah Ji enjoying his run at the Sabarmati Riverfront and visiting the Statue of Unity. His visit to SoU gives an important message of unity and will inspire our fellow Indians to travel to different parts of India. @OmarAbdullah https://t.co/MPFL3Us4ak pic.twitter.com/bLfjhC3024
ઓમર અબ્દુલ્લાના આ ટ્વિટનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, "કાશ્મીરથી કેવડિયા સુધી! ઓમર અબ્દુલ્લાજીએ સાબરમતી રિવરફ્રન્ટ પર દોડનો આનંદ માણ્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી તે જોઈને સારું લાગ્યું. તેમની મુલાકાત એકતાનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને આપણા દેશવાસીઓને ભારતના વિવિધ ભાગોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે."
ઓમર અબ્દુલ્લા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પહોંચ્યા
નોંધનીય છે કે ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત આવ્યા છે. તેમણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF) માં ભાગ લીધો હતો અને ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાત ઘરેલુ પર્યટનની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ રાજ્યો છે અને "અમે ફક્ત આ સંદેશ લાવ્યા છીએ કે જમ્મુ અને કાશ્મીર પર્યટન માટે સંપૂર્ણપણે ખુલ્લું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા, જેઓ પોતે તાજેતરમાં કાશ્મીરની મુલાકાતે આવ્યા છે."
પહલગામ આતંકવાદી હુમલા પછી પર્યટન પર અસર અને સુધારો
ઓમર અબ્દુલ્લાએ સ્વીકાર્યું કે 22 એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાથી પર્યટન પર અસર પડી હતી, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, "આપણે એમ કહી શકતા નથી કે હુમલાનો કોઈ પ્રભાવ પડ્યો નથી. આપણે બધા જાણીએ છીએ કે હુમલા પછી શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યાં પહેલા દરરોજ 50થી વધુ ફ્લાઇટ્સ આવતી હતી તે ઘટીને 15 થઈ ગઈ છે. પરંતુ હવે આ સંખ્યા ધીમે ધીમે 30ની નજીક પહોંચી રહી છે."
તેમણે કહ્યું હતું કે અમરનાથ યાત્રા સરળતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ શ્રદ્ધાળુઓ યાત્રા કરી ચૂક્યા છે. માતા વૈષ્ણોદેવી મંદિરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જમ્મુ અને કાશ્મીર પહોંચી રહ્યા છે.
સુરક્ષા એજન્સીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને સુરક્ષા દળોએ પર્વતો અને જંગલોમાં શોધી કાઢ્યા બાદ ઠાર માર્યા હતા. આપણી સુરક્ષા એજન્સીઓ ખૂબ જ સક્ષમ છે અને સતત સક્રિય છે." કેટલાક પ્રવાસન સ્થળોને બંધ રાખવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે સુરક્ષાની સમીક્ષા કર્યા પછી તેમને તબક્કાવાર ખોલવામાં આવી રહ્યા છે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતનો ઐતિહાસિક સંબંધ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "અમે ઇચ્છીએ છીએ કે પ્રવાસીઓ ફક્ત એક વાર નહીં પરંતુ વારંવાર જમ્મુ અને કાશ્મીર આવે. અમે સ્થાનિક પ્રવાસન સંગઠનો સાથે મળીને કામ કરીને અનુભવને વધુ સારો બનાવવા માંગીએ છીએ. દેશના અન્ય સ્થળોએ જ્યાં રજવાડા હતા, તેમને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) બનાવવામાં આવ્યા હતા. પરંતુ જમ્મુ અને કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું, આ અમારા માટે એક પીડાદાયક રાજકીય પરિવર્તન છે. અમે ઇચ્છીએ છીએ કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થાય."




















