ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડે ગંભીર આરોપ લગાવ્યો છે કે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં દારૂનો અડ્ડો બંધ કરાવવા અંગે ફરિયાદ કરતાં બુટલેગરોએ તેમના પર હુમલો કર્યો હતો.

BJP vice president attacked: ભાવનગરમાં શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રાઠોડે જણાવ્યું કે દારૂના અડ્ડા બંધ કરાવવા અંગે ફરિયાદ કરવા બદલ તેમના પર હુમલો થયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન, તેમણે PI ભાગ્યેશ્વરીબા ઝાલા પર બુટલેગરોને છાવરવાનો અને ફરિયાદ ન લેવાનો જાહેરમાં આરોપ મૂક્યો. જોકે, ભાવનગરના SP હર્ષદ પટેલ એ પ્રાથમિક તપાસમાં આ ઘટનાને પારિવારિક મિલકત વિવાદ અને મારામારીનો મુદ્દો ગણાવ્યો છે. તેમ છતાં, પોલીસ પર લાગેલા ગંભીર આરોપોની DySP દ્વારા તપાસ કરાશે અને જો બેદરકારી જણાશે તો પગલાં લેવાશે તેવી ખાતરી SP એ આપી છે. આ ઘટનાથી શહેરમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
હુમલાનો આરોપ અને પીડિતની પ્રતિક્રિયા
આ ઘટના શહેરના વડવા તલાવડી વિસ્તારમાં બની હતી. ઇજાગ્રસ્ત થયેલા નીતિનભાઈ રાઠોડને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા નીતિનભાઈ રાઠોડે જણાવ્યું કે, તેમણે સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ વડા અને રેન્જ IG સહિત ગૃહમંત્રીને પણ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ફરિયાદ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતાં, અંતે દારૂના અડ્ડા બાબતે ફરિયાદ કરવા બદલ આજે બુટલેગરો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.
પોલીસ પર આક્રોશ અને ગંભીર આરોપો
નીતિનભાઈ રાઠોડ જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તે સમયે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ભાગ્યેશ્વરીબા ઝાલા અને તેમનો સ્ટાફ ફરિયાદ લેવા માટે પહોંચ્યો હતો. આ સમયે, ભોગ બનનાર નીતિનભાઈ રાઠોડે PI ભાગ્યેશ્વરીબા ઝાલા ઉપર જાહેરમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેઓ બુટલેગરોને છાવરી રહ્યા છે અને તેમની ફરિયાદ પર ધ્યાન આપી રહ્યા નથી. નીતિનભાઈ રાઠોડે એ પણ દાવો કર્યો કે તેમના મિલકત સંબંધિત ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે, જ્યારે જૂન 3, 2025 ના રોજ વડવા તલાવડી વિસ્તારમાં આવેલા શિવાજી ચોકમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂના વેચાણ બાબતે તેમણે ફરિયાદ કરી હતી.
હુમલો કરનારાઓમાં હરેશ રાઠોડ, રાકેશ રાઠોડ, ભાવેશ રાઠોડ, મનોજ રાઠોડ સહિતના નશાની હાલતમાં રહેલા ઇસમો હતા તેમ નીતિનભાઈ રાઠોડે જણાવ્યું હતું. કેટલાક ફોટા પણ સામે આવ્યા છે જેમાં કથિત બુટલેગરો દારૂનો અડ્ડો ચલાવતા જોવા મળી રહ્યા છે, જોકે ABP Asmita આ તસવીરોની પુષ્ટિ કરતું નથી.
SP દ્વારા તપાસના આદેશ
સમગ્ર ઘટના અંગે ભાવનગરના SP હર્ષદ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ ઘટના પારિવારિક ઝઘડા અને દુકાન-મકાન સંબંધિત વિવાદને કારણે બની હોવાનું સામે આવ્યું છે, જેમાં આજે સવારે પણ મારામારી થઈ હતી. જોકે, SP એ એ પણ સ્પષ્ટતા કરી કે, ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ દ્વારા પોલીસ ઉપર જે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને DySP દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે. SP હર્ષદ પટેલે વધુમાં જણાવ્યું કે, જો આ તપાસમાં પોલીસની કોઈ બેદરકારી જણાશે, તો જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે.





















