હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
ayushman sarathi whatsapp chatbot number: માત્ર એક મેસેજથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ અને eKYC જેવી અનેક સુવિધાઓ મળશે; લાભાર્થીઓએ કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે.

- કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત માટે 'આયુષ્માન સારથી' ચેટબોટ શરૂ કર્યો.
- લાભાર્થીઓ પાત્રતા ચકાસી, કાર્ડ ડાઉનલોડ કરી, eKYC કરી શકશે.
- હોસ્પિટલ શોધવા, ફરિયાદ નોંધાવવા, સ્થિતિ ટ્રેક કરવાની સુવિધા મળશે.
ayushman sarathi whatsapp chatbot number: કેન્દ્ર સરકારે દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત આપતા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) માટે 'આયુષ્માન સારથી' નામનું એક સત્તાવાર WhatsApp ચેટબોટ લોન્ચ કર્યું છે. આ નવીનતમ સુવિધા શરૂ થવાથી લાભાર્થીઓને હવે આયુષ્માન કાર્ડ સંબંધિત કામગીરી માટે સરકારી કચેરીઓ કે કોલ સેન્ટરોના ધક્કા ખાવા પડશે નહીં. હવે નાગરિકો ઘરબેઠા 24 કલાક પોતાના મોબાઈલમાંથી વોટ્સએપ નંબર +91 72908 23838 પર મેસેજ મોકલીને યોજનાની તમામ સેવાઓનો લાભ અત્યંત સરળતાથી મેળવી શકશે.
વોટ્સએપ પર મળશે આટલી બધી સુવિધાઓ
આ 'આયુષ્માન સારથી' ચેટબોટ દ્વારા લાભાર્થીઓ PM-JAY હેઠળ પોતાની પાત્રતા (Eligibility) ચકાસી શકશે, નવા આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકશે અને મિનિટોમાં જ કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશે. આ ઉપરાંત, આધાર લિંકિંગ, eKYC ફરીથી પૂર્ણ કરવા, કાર્ડને લોક અથવા અનલોક કરવા, અત્યાર સુધીની સારવારના રેકોર્ડ જોવા અને વોલેટ બેલેન્સ તપાસવા જેવા કામ ચપટીમાં થઈ જશે. વિશેષ રૂપથી, 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે જાહેર કરાયેલા 'આયુષ્માન વય વંદના કાર્ડ' ને લગતી તમામ સેવાઓ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
હોસ્પિટલ શોધવાથી લઈને ફરિયાદ નિવારણ સુધીની સગવડ
આ ચેટબોટ માત્ર કાર્ડ ડાઉનલોડ કરવા પૂરતું સીમિત નથી. લાભાર્થીઓ આના માધ્યમથી પોતાની નજીક આવેલી યોજના અંતર્ગતની પેનલવાળી હોસ્પિટલ (Empanelled Hospitals) સરળતાથી શોધી શકશે. કોઈપણ પ્રકારની અસુવિધા જણાતા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે, તે ફરિયાદની સ્થિતિ ટ્રેક કરી શકશે અને જરૂર પડ્યે તેને પાછી પણ ખેંચી શકશે. દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી પ્રતિસાદ (Feedback) આપવા અને કોલ-બેક (Call-back) માટેની સુવિધા પણ ચેટબોટમાં ઉમેરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ વારંવાર રિજેક્ટ થાય છે? આ ભૂલો સુધારો, નહીંતર 5 લાખનો લાભ નહીં મળે
ચેટબોટનો કેવી રીતે કરશો ઉપયોગ?
આ સુવિધાનો ઉપયોગ કરવો કોઈ પણ સામાન્ય માણસ માટે અત્યંત સરળ છે. લાભાર્થીઓએ માત્ર તેમના સ્માર્ટફોનમાંથી WhatsApp નંબર +91 72908 23838 પર અંગ્રેજીમાં "HI" લખીને મેસેજ મોકલવાનો રહેશે અથવા સરકાર દ્વારા જારી કરાયેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે. આમ કરતાની સાથે જ તમામ સેવાઓના વિકલ્પો સ્ક્રીન પર આવી જશે.
આરોગ્ય મંત્રાલયના દાવા મુજબ, "આયુષ્માન સારથી એક અત્યંત સુરક્ષિત API-આધારિત સિસ્ટમ પર કાર્ય કરે છે અને સીધી રીતે PM-JAY પ્લેટફોર્મ સાથે જોડાયેલ છે. આનાથી લાભાર્થીઓને રિયલ-ટાઇમ (વાસ્તવિક સમયની) માહિતી મળશે, સેવાઓ ઝડપી બનશે અને પારદર્શિતા વધશે."
આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ: કઈ ઉંમરના લોકોને મળશે મફત સારવારનો લાભ? અરજી કરતા પહેલા જાણી લો નિયમ
ગ્રામીણ વિસ્તારો માટે સાબિત થશે આશીર્વાદ
આયુષ્માન ભારત એ વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજનાઓમાંની એક છે. ભારતમાં WhatsApp નો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, ત્યારે આ પ્લેટફોર્મ પર આટલી મોટી યોજનાની સુવિધાઓ મળવાથી કરોડો લોકોને સીધો ફાયદો થશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અને ડિજિટલ સેવાઓનું ઓછું જ્ઞાન ધરાવતા લોકો માટે આ ચેટબોટ આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અનુકૂળ બનાવશે.






















