EPFO 3.0 ને લઈ મોટા સમાચાર! ATM માંથી નિકળશે પૈસા, જાણો ક્યારથી મળશે આ સુવિધા
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO ટૂંક સમયમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના પછી પૈસા ઉપાડવાનું સરળ થઈ જશે.

EPFO 3.0 Updates: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO ટૂંક સમયમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના પછી પૈસા ઉપાડવાનું સરળ થઈ જશે. શુક્રવારે આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે EPFOનું નવું વર્ઝન આવતા મહિને એટલે કે મે-જૂનથી શરૂ થઈ શકે છે. આ પછી 9 કરોડથી વધુ ખાતાધારકોને આ અપડેટનો લાભ મળશે.
શ્રમ મંત્રીનું કહેવું છે કે નવા પ્લેટફોર્મમાં ડિજિટલ કરેક્શન, ઓટો ક્લેમ સેટલમેન્ટ અને એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હશે. આ સાથે પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. એટલે કે તે પછી, EPFO ખાતાધારકોને ન તો ક્લેમ માટે ઓફિસ જવાની જરૂર પડશે અને ન તો તેમણે લાંબું ફોર્મ ભરવાનું રહેશે.
EPF 3.0 ઘણી સુવિધા આપશે
કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે EPFO 3.0 વર્ઝન સાથે, સેવાઓ પહેલા કરતા ઘણી સરળ બની જશે અને તેને મજબૂત IT સિસ્ટમ સાથે લાગુ કરવામાં આવશે. પેન્શન અથવા ઉપાડની માહિતી સરળતાથી જોવા ઉપરાંત, ખાતાધારકોને OTP વેરિફિકેશન દ્વારા તેમનો ડેટા અપડેટ કરવાની સુવિધા પણ મળશે.
કેન્દ્રીય શ્રમ મંત્રીએ વધુમાં કહ્યું કે EPFO પાસે હાલમાં 'સરકારી ગેરંટી' સાથે 27 લાખ કરોડ રૂપિયાનું ફંડ છે અને તે 8.25 ટકા વ્યાજ ચૂકવે છે. સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ, પહેલેથી જ અસ્તિત્વમાં છે, તે 78 લાખથી વધુ પેન્શનરોને લાભ આપે છે કારણ કે તે તેમને સમગ્ર દેશમાં કોઈપણ બેંક ખાતામાં પેન્શન મેળવવા માટે સક્ષમ બનાવે છે અને અગાઉ નિયુક્ત પ્રાદેશિક બેંકોમાં ખાતા જાળવવાની જરૂરિયાતને દૂર કરી છે.
તમારે ઓફિસના ચક્કર લગાવવા પડશે નહીં
તેમણે કહ્યું કે સરકાર પેન્શન કવરેજને સુવ્યવસ્થિત અને મજબૂત કરવા માટે અટલ પેન્શન યોજના, પ્રધાન મંત્રી જીવન વીમા યોજના અને શ્રમિક જન ધન યોજના સહિત વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓના એકીકરણ પર પણ વિચાર કરી રહી છે. કામદારો માટે આરોગ્યસંભાળ સુલભ બનાવવા માટે, તેમણે કહ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) લાભાર્થીઓ ટૂંક સમયમાં આયુષ્માન ભારત યોજના હેઠળ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં મફત તબીબી સારવારનો લાભ લઈ શકશે.
આ ઉપરાંત, સામાજિક સુરક્ષાને વિસ્તૃત કરવા માટે, નિયુક્ત ખાનગી ચેરિટેબલ હોસ્પિટલોને પણ તેના દાયરામાં લાવવામાં આવશે. હાલમાં, ESIC 165 હોસ્પિટલો, 1,500 થી વધુ દવાખાનાઓ અને લગભગ 2,000 સૂચિબદ્ધ હોસ્પિટલો દ્વારા લગભગ 18 કરોડ લોકોને મફત તબીબી સંભાળ પૂરી પાડે છે.





















