વેઇટિંગ ટિકિટ લઈને સ્ટેશન જશો તો ધક્કો પડશે! રેલ્વેનો મોટો નિર્ણય, મંત્રીએ સંસદમાં આપી માહિતી
ભીડ નિયંત્રણ માટે રેલવેએ લીધા કડક પગલાં, હવે માત્ર કન્ફર્મ ટિકિટવાળા જ ૬૦ સ્ટેશનોમાં કરી શકશે પ્રવેશ.

Indian Railways security measures: ભારતીય રેલ્વેએ મુસાફરોની સુરક્ષા અને સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનને સુધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપતા જણાવ્યું કે હવે જો તમારી પાસે ટિકિટ કન્ફર્મ નહીં હોય તો તમને દેશના ૬૦ મોટા સ્ટેશનો પર પ્રવેશ મળશે નહીં. રેલ્વે દ્વારા ભીડ નિયંત્રણ માટે હોલ્ડિંગ એરિયા, સીસીટીવી સર્વેલન્સ અને પ્રવેશ નિયંત્રણ જેવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનને વધુ સારી બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. આ પગલાંઓમાં પહોળા ફૂટ-ઓવર-બ્રિજનું નિર્માણ, ઉચ્ચ ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ અને વોર રૂમની સ્થાપનાનો સમાવેશ થાય છે.
તહેવારો અને મેળાઓ દરમિયાન રેલ્વે સ્ટેશનો પર જોવા મળતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે રેલ્વેએ મર્યાદિત પ્રવેશ નિયંત્રણ સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ હેઠળ સ્ટેશનોની બહાર ખાસ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. જ્યાં સુધી ટ્રેન પ્લેટફોર્મ પર ન પહોંચે ત્યાં સુધી વેઇટિંગ લિસ્ટવાળા અથવા ટિકિટ વગરના મુસાફરોને સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
રેલ્વે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૪ની તહેવારની સિઝન દરમિયાન સુરત, ઉધના, પટના અને નવી દિલ્હી જેવા મોટા સ્ટેશનો પર સફળતાપૂર્વક હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના નવ સ્ટેશનો પર પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ અનુભવોના આધારે હવે દેશભરના ૬૦ જેટલા સ્ટેશનો પર કાયમી વેઇટિંગ એરિયા બનાવવામાં આવશે.
રેલ્વેના નવા નિયમ અનુસાર, હવેથી આ ૬૦ સ્ટેશનો પર સંપૂર્ણ પ્રવેશ નિયંત્રણ લાગુ કરવામાં આવશે. ફક્ત કન્ફર્મ આરક્ષિત ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્લેટફોર્મ પર પ્રવેશ આપવામાં આવશે. વેઇટલિસ્ટવાળા અને ટિકિટ વિનાના મુસાફરોએ સ્ટેશનની બહાર બનાવેલા વેઇટિંગ એરિયામાં જ રાહ જોવી પડશે. આ સાથે જ સ્ટેશનમાં પ્રવેશવાના અનધિકૃત પોઈન્ટને પણ સીલ કરી દેવામાં આવશે.
મુસાફરોની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા માટે રેલ્વે સ્ટેશનો પર વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે ભીડ વ્યવસ્થાપનમાં મદદરૂપ થવા માટે નવી ડિઝાઇનના ૧૨ મીટર અને ૬ મીટર પહોળા એફઓબી બનાવવામાં આવશે.
ભીડ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે મોટા રેલ્વે સ્ટેશનો પર ખાસ વોર રૂમ બનાવવામાં આવશે. જ્યાં ભીડની સ્થિતિમાં તમામ વિભાગોના અધિકારીઓ એકબીજા સાથે સંકલન કરીને કામ કરશે. આ ઉપરાંત તમામ ભારે ભીડવાળા સ્ટેશનો પર વોકી-ટોકી, જાહેરાત સિસ્ટમ અને ડિજિટલ સંચારના સાધનો પણ સ્થાપિત કરવામાં આવશે.
રેલ્વે કર્મચારીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે તેમને નવા ગણવેશ અને આઈડી કાર્ડ આપવામાં આવશે. જેથી સ્ટેશનોમાં ફક્ત અધિકૃત વ્યક્તિઓ જ પ્રવેશી શકે. આ સાથે જ મુખ્ય સ્ટેશનો પર સ્ટેશન ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવશે, જેમને નાણાકીય સત્તા પણ આપવામાં આવશે જેથી તેઓ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિર્ણય લઈ શકે.
સ્ટેશન ડાયરેક્ટરને સ્ટેશનની ક્ષમતા અને ઉપલબ્ધ ટ્રેનો અનુસાર ટિકિટના વેચાણને નિયંત્રિત કરવાની પણ સત્તા આપવામાં આવશે. સ્ટેશનો પર સુરક્ષા જાળવવા માટે GRP, સ્થાનિક પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશન પણ સહકાર આપશે.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં થયેલી નાસભાગની ઘટનામાંથી બોધપાઠ લઈને રેલ્વે ઝોનલ અધિકારીઓને પ્લેટફોર્મ ટિકિટના વેચાણને નિયંત્રિત કરવાની સત્તા આપવામાં આવી છે. જો કે, વૃદ્ધો, અભણ અને મહિલા મુસાફરોને મદદ કરવા માટે અમુક ખાસ સંજોગોમાં પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવશે.





















