આ યોજના અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને નાના વ્યવસાયિકો માટે છે. તે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન પૂરું પાડે છે.
વૃદ્ધાવસ્થાની ચિંતા છોડો! દર મહિને મળશે ₹3,000નું સરકારી પેન્શન, જાણો અરજી કરવાની રીત
pm shram yogi maandhan yojana: કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના' નાના કામદારો માટે આશીર્વાદરૂપ; પતિ-પત્ની બંને જોડાઈને મહિનાના 6000 રૂપિયાનો લાભ લઈ શકે છે.

- શ્રમ યોગી માનધન યોજના: 55 રૂપિયાથી શરૂ રોકાણ, 3000 રૂપિયા માસિક પેન્શન.
- અસંગઠિત ક્ષેત્રના 18-40 વર્ષના, 15,000થી ઓછી આવક ધરાવતા માટે.
- સરકાર દ્વારા કરાશે રોકાણના સમકક્ષ રકમ જમા.
- 60 વર્ષ બાદ લાભાર્થી કે જીવનસાથીને મળશે પેન્શનનો લાભ.
pm shram yogi maandhan yojana: ભારત સરકારે છૂટક મજૂરી કરતા અને અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે એક શાનદાર યોજના અમલમાં મૂકી છે, જેનું નામ છે 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના'. જો તમારી આવક મર્યાદિત છે અને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાની ચિંતા સતાવી રહી છે, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. આ યોજના હેઠળ દર મહિને માત્ર 55 રૂપિયા જેવી નજીવી રકમનું રોકાણ કરીને તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું ગેરંટીડ સરકારી પેન્શન મેળવી શકો છો.
કોના માટે છે આ ખાસ યોજના?
આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં મજૂરી કે નાનો વ્યવસાય કરે છે. એટલે કે, જો તમે લારી-ગલ્લાવાળા, રિક્ષાચાલક, ઘરકામ કરનારા, મજૂર કે નાના દુકાનદાર છો, તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો.
લાયકાત શું હોવી જોઈએ?
અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
માસિક આવક 15,000 રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ.
અરજદાર ઈન્કમટેક્સ (કર) ભરતો ન હોવો જોઈએ.
અરજદાર અન્ય કોઈ સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો લાભ લેતો ન હોવો જોઈએ.
આ પણ વાંચોઃ મહિનાની કઈ તારીખે SIP કરવાથી મળશે સૌથી વધુ વળતર? 30 વર્ષના ડેટાએ ખોલ્યું મોટું રહસ્ય
યોજના કઈ રીતે કામ કરે છે?
આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે જેટલા રૂપિયા જમા કરશો, સરકાર પણ સામે એટલા જ રૂપિયા તમારા ખાતામાં જમા કરશે.
દાખલા તરીકે, જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવ છો, તો તમારે દર મહિને માત્ર 55 રૂપિયા જમા કરાવવાના રહેશે, અને સરકાર પણ પોતાના તરફથી 55 રૂપિયા જમા કરશે.
જો તમારી ઉંમર 40 વર્ષ છે, તો પ્રીમિયમની રકમ વધુ હશે, એટલે કે તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.
60 વર્ષ પછી મળશે બમણો ફાયદો
60 વર્ષની ઉંમર પૂરી થતાં જ તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. સૌથી સારી વાત એ છે કે, જો પતિ અને પત્ની બંને અલગ-અલગ આ યોજનામાં જોડાય, તો 60 વર્ષ પછી પરિવારને 3,000 + 3,000 એમ કુલ 6,000 રૂપિયા દર મહિને મળશે. કોઈ કારણસર જો પેન્શન શરૂ થયા બાદ (60 વર્ષ પછી) લાભાર્થીનું મૃત્યુ થાય, તો તેમના જીવનસાથી (પતિ કે પત્ની) ને અડધું પેન્શન એટલે કે દર મહિને 1,500 રૂપિયા મળતા રહેશે.
આ પણ વાંચોઃ PNB ની 444 દિવસની FDમાં 3 લાખ રૂપિયા જમા કરાવશો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણતરી
અરજી કઈ રીતે કરવી?
આ યોજનામાં જોડાવું એકદમ સરળ છે. તમારે તમારા નજીકના 'કોમન સર્વિસ સેન્ટર' (CSC) અથવા ગ્રાહક સેવા કેન્દ્ર પર જવાનું છે. ત્યાં તમારું ઓળખ કાર્ડ (આધાર કાર્ડ) અને બેંક ખાતાની વિગતો (પાસબુક) આપીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આમાં દર મહિને જાતે પૈસા જમા કરાવવાની ઝંઝટ પણ નથી, તમારા બેંક ખાતામાંથી દર મહિને નક્કી કરેલી રકમ આપમેળે જ કપાઈ જશે.
Frequently Asked Questions
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શું છે?
આ યોજના માટે કોણ અરજી કરી શકે છે?
18 થી 40 વર્ષની વય ધરાવતા, 15,000 રૂપિયાથી ઓછી માસિક આવક ધરાવતા અને આવકવેરો ન ભરતા લોકો અરજી કરી શકે છે.
યોજનામાં કેટલું રોકાણ કરવું પડે છે?
18 વર્ષની ઉંમરે જોડાતા વ્યક્તિએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે. ઉંમર પ્રમાણે આ રકમ બદલાઈ શકે છે.
યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય?
નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર આધાર કાર્ડ અને બેંક પાસબુક આપીને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. રકમ આપમેળે બેંક ખાતામાંથી કપાઈ જશે.





















