RBIની મોટી કાર્યવાહી, આ બેન્કોને ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે સમગ્ર કેસ?
RBI Imposes Penalty: આરબીઆઈએ કહ્યું કે નિયમનકારી પાલનમાં કેટલીક ખામીઓને કારણે તેને આ પગલું ભરવું પડ્યું છે

RBI Imposes Penalty: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક, IDFC બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે અને તેમને મોટો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ કહ્યું કે નિયમનકારી પાલનમાં કેટલીક ખામીઓને કારણે તેને આ પગલું ભરવું પડ્યું છે. કેન્દ્રિય બેન્ક દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોન અને એડવાન્સિસ, કાયદાકીય અને અન્ય પ્રતિબંધો ઉપરાંત લોન વિતરણ માટે લોન સિસ્ટમ પરની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ 61.4 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
અન્ય એક નિવેદનમાં RBI એ જણાવ્યું હતું કે KYC (Know Your customer) માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ IDFC બેન્ક પર 38.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરબીઆઈ કાર્યવાહી
આ ઉપરાંત સેન્ટ્રલ બેન્ક દ્વારા પંજાબ નેશનલ બેન્ક પર 29.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેન્કોમાં ગ્રાહક સેવા અંગે RBI દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવાને કારણે આવું કરવામાં આવ્યું છે. ત્રણેય કેસોમાં કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે આ દંડ નિયમનકારી પાલનમાં ખામીઓને કારણે લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ બેન્કો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ભાર મૂકવાનો નથી.
થાપણો, ખાતાઓ પર RBI માર્ગદર્શિકા
RBI એ ગુરુવારે જણાવ્યું હતું કે બેન્કો કેન્દ્રીય બેન્કને જાણ કર્યા વિના તેમની વિદેશી શાખાઓ અથવા પ્રતિનિધિઓના નામે ખાતા (વ્યાજ વગરના) ઓપન કે બંધ કરી શકે નહીં. જોકે, આરબીઆઇએ ડિપોઝિટ અને ખાતાઓ પરના 'માસ્ટર' નિર્દેશમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની બહાર કાર્યરત પાકિસ્તાની બેન્કોની શાખાઓના નામે ખાતા ખોલવા માટે RBIની ખાસ મંજૂરીની જરૂર પડશે.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એક પ્રવાસી બેન્કના એકાઉન્ટમાં જમા કરાવવું એ પ્રવાસીઓને ચુકવણીનો સ્વીકૃત માધ્યમ છે. તેથી, તે વિદેશી ચલણમાં ટ્રાન્સફર પર લાગુ પડતા નિયમોને આધીન છે. RBI એ જણાવ્યું હતું કે એક પ્રવાસી બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડ ખરેખર વિદેશી ચલણનું રેમિટન્સ છે.
વિદેશી બેન્કોના ખાતાઓના ભંડોળ અંગે RBI એ જણાવ્યું હતું કે બેંકો ભારતમાં તેમની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમના ખાતામાં ભંડોળ રાખવા માટે વર્તમાન બજાર દરે તેમના વિદેશી પ્રતિનિધિઓ/શાખાઓ પાસેથી મુક્તપણે વિદેશી ચલણ ખરીદી શકે છે. જોકે, વિદેશી બેન્કો ભારતીય રૂપિયા પ્રત્યે સટ્ટાકીય અભિગમ અપનાવે નહીં તેની ખાતરી કરવા માટે ખાતાઓમાં થતા વ્યવહારો પર નજીકથી નજર રાખવી જોઈએ. આવા કોઈપણ કેસની જાણ રિઝર્વ બેન્કને કરવી જોઈએ.




















