Gandhinagar: મુખ્યમંત્રીએ કરાવ્યો રિ-નેટવર્ક 2025નો શુભારંભ,25 હજારથી વધુ લોકો થશે સામેલ
ગાંધીનગર: આ સંદર્ભે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વર્ષ2001માં રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા 8750 મેગા વોટ હતી, જે અત્યારે 53,000 મેગાવોટ થઈ છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં RE-NETWORK 2025(રિ-નેટવર્ક 2025)નો પ્રારંભ કરાવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. RE-NETWORK 2025(રિ-નેટવર્ક 2025)ના શુભારંભ પ્રસંગે ભારતીય સેનાને 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરિક અને સરહદી સુરક્ષાની સાથે સાથે વિકાસની રાજનીતિ થકી નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ન્યૂ એજ રિન્યુએબલ એનર્જી પર હંમેશાં ભાર મૂક્યો છે. જ્યારે દેશ-દુનિયા રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ શરૂ કરાવીને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, એમ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું.
'ધ ફ્યુચર ટુગેધર' થીમ સાથે યોજાઈ રહેલો RE-NETWORK 2025(રિ-નેટવર્ક 2025) એક્સ્પો વડાપ્રધાન ની રિન્યુએબલ એનર્જી પ્રત્યેની પ્રતિબદ્ધતામાં સુર પુરાવતો કાર્યક્રમ છે, એમ જણાવીને મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે આવાં આયોજનો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્ર'ને સાર્થક કરે છે. સોલાર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેનો ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ (GFSI)નો નવતર અભિગમ પ્રશંસનીય છે. 2001માં મુખ્યમંત્રી તરીકે દાયિત્વ સાંભળ્યા બાદ નરેન્દ્રભાઈએ દૂરંદેશી નેતૃત્વ થકી વિવિધ પડકારોનો સામનો કરીને રાજ્યને વિકાસના માર્ગે પ્રશસ્ત કર્યું હતું. રાજ્યમાં પાવર સેક્ટરને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે તેમણે 'જ્યોતિગ્રામ યોજના' શરૂ કરાવી હતી. નાગરિકોને 24 કલાક વીજળી પૂરી પડતી આ યોજનાની સફળતાના પગલે આજે દેશભરમાં 'દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના' અમલી બની છે.
આ સંદર્ભે વધુમાં વાત કરતા મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે વર્ષ 2001માં રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા 8750 મેગા વોટ હતી, જે અત્યારે 53,000 મેગાવોટ થઈ છે. રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતાના 55% ક્ષમતા રિન્યુએબલ એનર્જી પૂરા પાડે છે. મોઢેરા દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બન્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જે ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઈલેક્ટ્રીસિટી ગ્રીડથી સજ્જ છે. નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં 2009માં રાજ્યએ દેશની સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ રજૂ કરી હતી. એ જ તર્જ પર સમયાંતરે જરૂરી સુધારા સાથે આગળ વધતા રાજ્યમાં નવી રિન્યુએબલ એનર્જી પોલીસી 202૩ પણ બનાવવામાં આવી છે.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈએ ક્લાયમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરાવીને વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવાનો તેમનો સંકલ્પ છે. આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત પણ 20૭0 પહેલા નેટ ઝીરો કાર્બન એમિશન રાજ્ય બનવા પ્રતિબદ્ધ છે. આજે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત રાજ્યમાં ૩.૩૬ લાખ ઘરો સોલાર રૂફટોપથી સજ્જ છે. દેશભરમાં સોલાર રૂફટોપ બાબતે ગુજરાત ટોચ પર છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ(GFSI)ના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ સ્ટેકહોલ્ડર્સને સાથે લાવીને આ નવીન ક્ષેત્રે ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં આ ઇવેન્ટ ખૂબ મહત્ત્વની સાબિત થશે. પીએમ સૂર્ય ઘર યોજના જેવી યોજનાઓ દ્વારા આજે લોકો રિન્યુએબલ એનર્જી સાથે જોડાઈ રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસીય એક્સપોમાં 120થી વધુ એક્ઝિબિટર્સ, 15થી વધુ વક્તાઓ સહિત 25000થી વધુ લોકો સામેલ થશે.





















