અમદાવાદ ATS દ્વારા આતંકવાદ વિરોધી અભિયાનમાં પાંચ દેશવિરોધી તત્વોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ જૈશ-એ-મોહમ્મદના પ્રચાર-પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હતા.
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Crime News: ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી છે

- અમદાવાદ ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ પાંચની ધરપકડ કરી.
- બે આરોપીઓ બોમ્બ બનાવવાની તાલીમ લેતા, ગ્રામ્ય વિસ્તારમાં પરીક્ષણ કરતા.
- આ કાર્યવાહી અગાઉ પકડાયેલા આઠ આરોપીઓની પૂછપરછ પછી કરવામાં આવી.
- એટીએસ આજે બપોરે આતંકી નેટવર્ક અંગે વધુ સત્તાવાર વિગતો આપશે.
Crime News: અમદાવાદમાં ગુજરાત ATSને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદના પ્રચાર-પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના આરોપમાં ATSએ વધુ પાંચ દેશવિરોધી તત્વોની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આઠ આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ-સર્વેલન્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ATSએ બિબાલ શેરા, મોહમદ અયુબ કાદિવાલ, મોહમદ શફી મુખી, મોહમદ હસન કારડિયા અને મોહમદ અયુબ સુનાસરાની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ પાંચેય આરોપીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા અને કથિત રીતે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ATSની પૂછપરછમાં સામે આવ્યું છે કે, અયુબ કાદિવાલ અને મોહમ્મદ શેરા કથિત રીતે બોમ્બ બનાવવાની તાલીમ મેળવી રહ્યા હતા. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોના અવાવરુ સ્થળોએ ટાઈમ બોમ્બ બનાવી તેનું પરીક્ષણ પણ કરતા હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે તપાસ એજન્સી વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરી છે.
આ પણ વાંચો: Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
ઉલ્લેખનીય છે કે ,આ માહિતી પ્રાથમિક તપાસના આધારે સામે આવી છે અને આરોપીઓ સામેની તપાસ હજુ ચાલુ છે. ATS દ્વારા આજે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં સમગ્ર કેસ અંગે વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. આ કેસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને રાજ્યમાં આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખ્સો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી.
Frequently Asked Questions
તાજેતરમાં ATS દ્વારા કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે?
ધરપકડ કરાયેલા આરોપીઓ કઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા?
આ આરોપીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જૈશ-એ-મોહમ્મદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા હતા. કેટલાક આરોપીઓ બોમ્બ બનાવવાની તાલીમ મેળવી ગ્રામ્ય વિસ્તારોમાં તેનું પરીક્ષણ પણ કરતા હતા.
આ પાંચ આરોપીઓની ધરપકડ કયા આધારે કરવામાં આવી?
અગાઉ ઝડપાયેલા આઠ આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ-સર્વેલન્સના આધારે ATSએ આ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સી વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
શું આ પહેલા પણ આ કેસમાં કોઈની ધરપકડ થઈ હતી?
હા, 3 જુલાઈએ ગુજરાત ATS ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય 8 શખ્સોની ધરપકડ કરી હતી.






















