ખાખી ફરી શર્મશાર: અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Police constable liquor scandal: ધનસુરાના રાહીયોલ ગામે એલસીબીની રેડમાં રૂ. ૧.૭૬ લાખનો દારૂ જપ્ત, ફરજ પરનો પોલીસકર્મી ફરાર, અગાઉ પણ દારૂ કેસમાં પકડાયો હતો.

Aravalli liquor seizure: અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસકર્મી જ બુટલેગર હોવાની ઘટના સામે આવતા પોલીસ વિભાગ ફરી એકવાર શર્મશાર થયું છે. ધનસુરાના રાહીયોલ ગામના વતની અને છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસસ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા એલસીબી વિભાગને મળતા ગતરોજ પોલીસે રેડ કરી હતી.
રેડ દરમિયાન ઘરના રસોડાના નીચેના ભાગમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂ. ૧.૭૬ લાખની કિંમતની ૨૧૩૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ ખાતામાં ફરજ બજાવતો કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, વિજય છનાલાલ પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો ત્યારે પણ દારૂના કેસમાં ઝડપાયો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પોરબંદર ખાતે ફરજ પર હતો. એક વખત સસ્પેન્ડ થયા પછી પણ તેણે આ ગેરકાયદેસર ધંધો ચાલુ રાખ્યો હતો. ગત ૮ તારીખે તે પોરબંદરથી વતન રાહીયોલ આવ્યો હતો અને ગતરોજ એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસસ્થાનેથી ફરાર થઈ ગયો હતો.
હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસકર્મી વિજય પરમારને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો. સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાથી પોલીસ વિભાગની છબીને નુકસાન થયું છે અને તપાસ ચાલી રહી છે.
મુખ્ય બાબતો
સ્થળ: રાહીયોલ ગામ, ધનસુરા, અરવલ્લી જિલ્લો
આરોપી: વિજય છનાલાલ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ)
જપ્ત કરેલ મુદ્દામાલ: રૂ. ૧.૭૬ લાખનો વિદેશી દારૂ (૨૧૩૮ બોટલ)
કાર્યવાહી કરનાર: અરવલ્લી એલસીબી
આરોપીની સ્થિતિ: ફરાર
અગાઉનો ગુનો: દારૂ કેસમાં સસ્પેન્ડ
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલી અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે ટ્રકમાંથી રૂ. ૪૪ લાખથી વધુની કિંમતની ૧૭,૬૩૪ બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત પોલીસે બંને ટ્રકના ચાલકોની પણ ધરપકડ કરી છે અને બંને ટ્રક સહિત કુલ રૂ. ૨.૧૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો...
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
