કોરોના સંક્રમણ અટકાવવા દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય ? જાણો
કોરોના સંક્રમણની ચેઈન તોડવાના ઉદ્દેશથી 20 એપ્રિલથી આગામી 10 દિવસ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લૉકડાઉનનો અમલ કરાશે . માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

વલસાડ: રાજ્યમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જીવલેણ વાયરસથી બચવા માટે લોકો દ્વારા ગામ અને નગરોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. હવે વલસાડ (Valsad)જિલ્લામાં મંગળવારથી 10 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન (lockdown)નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. આ બેઠકમાં ધારાસભ્યો, વેપારી સંગઠનના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા
વલસાડમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના ઉદ્દેશથી 20 એપ્રિલથી આગામી 10 દિવસ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લૉકડાઉનનો અમલ કરાશે . માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ વધુ ઘાતક બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7, ગાંધીનગર-4, સુરત-4, ભરુચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ સાથે કુલ 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 18 એપ્રિલ | 10340 | 110 |
| 17 એપ્રિલ | 9541 | 97 |
| 16 એપ્રિલ | 8920 | 94 |
| 15 એપ્રિલ | 8152 | 81 |
| 14 એપ્રિલ | 7410 | 73 |
| 13 એપ્રિલ | 6690 | 67 |
| 12 એપ્રિલ | 6021 | 55 |
| 11 એપ્રિલ | 5469 | 54 |
| 10 એપ્રિલ | 5011 | 49 |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 96,925 | 858 |
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,80,954 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,07,058 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,02,88,012 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 65,901 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43,966 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.





















