મંત્રીમંડળના વિસ્તરણને લઈ મોટા સમાચાર: ભાનુબેન બાબરીયા અને કનુભાઈ દેસાઈની વિદાય નિશ્ચિત, જાણો નવા દાવેદાર કોણ છે
ભાનુબેન બાબરીયાના સ્થાને ૬ નામ ચર્ચામાં. કનુભાઈ દેસાઈના સ્થાને બ્રહ્મસમાજના પ્રતિનિધિત્વ માટે બાલકૃષ્ણ શુક્લા, અમિત ઠાકર, અનિરુદ્ધ દવે અને અનિકેત ઠાકરના નામ ચર્ચામાં.

Gujarat Cabinet Expansion: ગુજરાત મંત્રીમંડળના સંભવિત વિસ્તરણને લઈ રાજ્યના રાજકીય વર્તુળોમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળના બે મોટા ચહેરા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના સ્થાને અન્ય ધારાસભ્યોને સ્થાન આપવા માટે કુલ ૬ નામની ચર્ચા ચાલી રહી છે, જેમાં ૩ પુરુષ ધારાસભ્યો અને ૩ મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. પુરુષ ધારાસભ્યોમાં શંભુપ્રસાદ ટૂંડિયા, પ્રદ્યુમન વાજા અને ઈશ્વર પરમારના નામ ચર્ચામાં છે, જ્યારે મહિલા ધારાસભ્યોમાં માલતી મહેશ્વરી, દર્શના વાઘેલા અને મનીષા વકીલના નામ પર ગહન વિચારણા ચાલી રહી છે.
તેવી જ રીતે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની વિદાય બાદ તેમના સ્થાને બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ આપવા માટે ૪ નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચાર નામોમાં બાલકૃષ્ણ શુક્લા, અમિત ઠાકર, અનિરુદ્ધ દવે અને અનિકેત ઠાકરનો સમાવેશ થાય છે. સૂત્રોના મતે, આ ચાર પૈકી કોઈ એક ધારાસભ્યને કનુભાઈ દેસાઈની જગ્યાએ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મંત્રીમંડળનું આ વિસ્તરણ ટૂંક સમયમાં થાય તેવી સંભાવના છે, જેના પર સૌની નજર ટકેલી છે.
દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, ઑક્ટોબર 17, 2025 ના રોજ થવાની એક્સક્લૂઝિવ માહિતી મળી છે. નવા મંત્રીઓ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથ લે તેવી શક્યતા છે, જેના માટે રાજભવન અથવા મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. હાલમાં રાજભવનના બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી આવતીકાલે રાજ્યપાલને મળીને શપથવિધિ માટેનો સમય માંગશે, જેના પગલે રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં અમરેલીથી મહેશ કસવાલા/કૌશિક વેકરિયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડ/ત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.
રાજ્યમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. abp અસ્મિતા પાસેની એક્સક્લૂઝિવ માહિતી મુજબ, શુક્રવાર ના રોજ નવા મંત્રીઓ શપથ લેશે. શપથગ્રહણ સમારોહ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં યોજાય તેવી સંભાવના છે. સમારોહનું આયોજન રાજભવન અથવા મહાત્મા મંદિરમાં થઈ શકે છે. રાજભવનમાં આવેલા બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તરણની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી આવતીકાલે (બુધવારે, ઑક્ટોબર 15, 2025) રાજ્યપાલને મળીને શપથગ્રહણ માટેનો સમય માંગશે.





















