![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Elections 2022: પાટીદાર સમાજ કયા પક્ષની સાથે રહેશે? કાલે મળનારી આ બેઠકમાં થશે ચર્ચા
મિશન 2022ને લઈ વર્લ્ડ પાટીદાર ફેડરેશનની મહત્વની બેઠક અમદાવાદમાં આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસમાં આવતીકાલે મળવા જઈ રહી છે.
![Gujarat Elections 2022: પાટીદાર સમાજ કયા પક્ષની સાથે રહેશે? કાલે મળનારી આ બેઠકમાં થશે ચર્ચા Gujarat Elections 2022: World Patidar Federation meeting at the Sola Umiyadham campus in Ahmedabad Gujarat assembly elections Gujarat Elections 2022: પાટીદાર સમાજ કયા પક્ષની સાથે રહેશે? કાલે મળનારી આ બેઠકમાં થશે ચર્ચા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/07/d2753d37c605558421af28c150efa2d61667834269121391_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચુક્યું છે. 1 ડિસેમ્બરે થનારા પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. આ સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. આ દરમિયાન ગુજરાતની રાજનીતિમાં મહત્વના ગણાતા પાટીદાર સમાજના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે.
પાટીદાર સમાજની બેઠકમાં કયા મુદ્દા ચર્ચાશે?
મિશન 2022ને લઈ વર્લ્ડ પાટીદાર ફેડરેશનની મહત્વની બેઠક અમદાવાદમાં આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસમાં આવતીકાલે મળવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પાટીદાર સમાજના આગેવાન સી.કે પટેલની અધ્યક્ષતામાં આ બેઠક થશે. આ મહત્વની બેઠકમાં પાટીદારો સમાજના નેતાઓને ટિકિટ ફાળવણીને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ ચૂંટણીમાં પાટીદાર સમાજ કયા રાજકીય પક્ષની સાથે રહેવો જોઈએ તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
કયા પાટીદાર આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે?
અમદાવાદમાં આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસમાં થનારી આ બેઠકમાં પાટીદાર સમાજના તમામ મોટા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે. પાટીદાર સમાજના આગેવાન સી.કે પટેલની અધ્યક્ષતામાં આ બેઠક થશે. આ સાથે આ બેઠકમાં જયરામ વાંસદીયાં, જયરામ બાપા, દિલીપભાઈ નેતાજી, દિનેશ કુંભાણી ,આર.પી પટેલ, રમેશભાઈ દૂધવાળા, મણિભાઈ સહિતના આગેવાનો બેઠકમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના નરેશ પટેલ આ બેઠકમાં ઉપસ્થિત નહી રહે. મહત્વનું છે કે, નરેશ પટેલ થોડા દિવસ પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી ચુક્યા છે. ત્યારે હવે વિશ્વ પાટીદાર ફેડરેશનની બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
ભાજપના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં બે દિવસ બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરેક બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા માટે 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. 9મી તારીખે સાંજે 6:30 કલાકે શરુ થનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, જે. પી. નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. મહત્વનું છે કે, ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. ત્યારે ભાજપ દ્વારા 10 નવેમ્બર બાદ તરત જ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)