SWAGAT કાર્યક્રમ દ્વારા 4 વર્ષમાં 2.4 લાખથી વધુ ફરિયાદોનું નિવારણ, જાણો કેવી રીતે સીધા મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિવારણ કરવાનો છે, જેમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધુ ફરિયાદોનું નિરાકરણ થયું છે.

Gujarat SWAGAT program 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે **'સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી' (SWAGAT) કાર્યક્રમ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લા 4 વર્ષમાં આ કાર્યક્રમના માધ્યમથી કુલ 2,39,934 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે. 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય જનતા અને સરકારી વહીવટીતંત્ર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે, અને અત્યાર સુધીમાં કુલ 15.79 લાખથી વધુ ફરિયાદો ઉકેલાઈ છે.
ગુજરાત સરકાર છેલ્લા બે દાયકાથી જનતા અને શાસન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે અગ્રેસર રહી છે. આ દિશામાં એક અનોખી પહેલ તરીકે 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ SWAGAT કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને તેમની ફરિયાદો સીધા જ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની સુવિધા આપવાનો હતો.
સફળતાના આંકડા
આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કુલ 15,84,535 ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેમાંથી 15,79,002 જેટલી ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહેલા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જાય છે. તેમના નેતૃત્વ હેઠળ છેલ્લા 4 વર્ષમાં એકલા 2,39,934 ફરિયાદોનું નિવારણ થયું છે.
ભાવનગર જિલ્લાના મહુવાના રહેવાસી ભરતભાઈ કાબાભાઈ ખોડીફાડનો કિસ્સો આ કાર્યક્રમની સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભરતભાઈના દાદાની 9 એકર જમીન વર્ષો પહેલા મહુવા નગરપાલિકા દ્વારા ગરીબોને પ્લોટ ફાળવવા માટે સંપાદન કરવામાં આવી હતી. જોકે, તેમના પરિવારને મળવાપાત્ર રહેણાંકના પ્લોટનો દસ્તાવેજ તેમને મળી શક્યો ન હતો. આ મુદ્દાને ઉકેલવા માટે, ભરતભાઈએ તાલુકા, જિલ્લા અને છેલ્લે રાજ્ય કક્ષાના SWAGAT કાર્યક્રમમાં રજૂઆત કરી.
ભરતભાઈએ કહ્યું કે, "મુખ્યમંત્રીએ મારી ફરિયાદ મિત્રભાવે સાંભળી અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક દસ્તાવેજ કરી આપવાની સૂચના આપી. તેમના હસ્તક્ષેપથી મારો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ ગયો અને અમે મારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવાની પ્રક્રિયા શરૂ કરી શક્યા."
કેવી રીતે કામ કરે છે SWAGAT કાર્યક્રમ?
SWAGAT કાર્યક્રમ એક બહુસ્તરીય પ્રણાલી પર કાર્ય કરે છે, જેમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થાય છે:
- ગ્રામ સ્વાગત: દર મહિનાની 1 થી 10 તારીખ દરમિયાન અરજદારો પોતાની અરજી તલાટી/મંત્રીને આપી શકે છે.
- તાલુકા સ્વાગત: પ્રાંત અધિકારી અથવા સમકક્ષ અધિકારી સમક્ષ અરજીઓ રજૂ કરવામાં આવે છે.
- જિલ્લા સ્વાગત: નાગરિકો જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની ફરિયાદો રજૂ કરે છે.
- રાજ્ય સ્વાગત: દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રી પોતે નાગરિકોની ફરિયાદો સાંભળીને તેનું નિવારણ લાવે છે.
આ ઉપરાંત, નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલયને રૂબરૂ, ટપાલ, અથવા ઓનલાઈન પોર્ટલ 'રાઈટ ટુ CMO' (Write to CMO) દ્વારા પણ પોતાની ફરિયાદો મોકલી શકે છે. આ તમામ પ્રયાસો ગુજરાત સરકારની નાગરિકોને 'ઈઝ ઓફ લિવિંગ' આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.





















