Kutch: ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળા પ્રવાસીઓમાં બની આકર્ષણનું કેન્દ્ર, એક મહિનામાં 1500થી વધુ લોકો પહોંચ્યા
કચ્છના ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું લોકાર્પણ એક મહિના અગાઉ કરવામાં આવ્યું હતું.

કચ્છના ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું લોકાર્પણ એક મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. માત્ર 30 દિવસમાં 1500થી વધુ પ્રવાસીઓ અહી મુલાકાત માટે પહોંચ્યા હતા. ભુજમાં નવનિર્મિત વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપની મદદથી અદભૂત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક મળે છે. છેલ્લા બે વર્ષમાં 2 લાખથી વધુ લોકોએ ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટરમાં આવેલી છ થિમેટિક ગૅલેરી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
નોંધનીય છે કે કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 25 ડિસેમ્બર 2024ના રોજ ગુડ ગવર્નન્સ નિમિત્તે આ વેધશાળાના ઉદ્ઘાટન થયાના માત્ર એક મહિનામા 1500થી વધુ લોકોએ તેની મુલાકાત લીધી હતી. વેધશાળા ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નોંધનીય છે કે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગ હેઠળ GUJCOST દ્વારા ભુજમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર (RCS)ની શરૂઆત કરવામાં આવી હતી. ભુજિયા ડુંગરની ટોચ પર 10 એકરમાં ફેલાયેલું આ સેન્ટર આકર્ષક જગ્યાને કારણે શિક્ષણ સાથે મનોરંજન પણ પુરૂ પાડે છે. 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુજમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયું ત્યારથી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મરીન નેવિગેશન સિમ્યુલેટર, સબમરીન સિમ્યુલેટર અને 3D મૂવીઝ જેવા આકર્ષણો છે, જેમાં હવે અવકાશ વેધશાળાનો પણ ઉમેરો થયો છે. આ ઉપરાંત, અહીં છ થિમેટિક ગૅલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં મરીન નેવિગેશન, એનર્જી સાયન્સ, ફીલ્ડ્સ મેડલ, બોન્સાઈ, નેનો ટેક્નોલૉજી અને અવકાશ વિજ્ઞાનનો સમાવેશ થાય છે.
ભુજમાં નવનિર્મિત વેધશાળા અત્યાધુનિક 24-ઇંચ ટેલિસ્કોપથી સજ્જ છે, જે મુલાકાતીઓને નિહારિકાઓ, ગ્રહો અને દૂરના તારાઓ જેવી અદભૂત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક પૂરી પાડે છે. મુલાકાતીઓ સાંજે 6 થી 9 વાગ્યા સુધી અવકાશ વેધશાળાની મુલાકાત લઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે 20 અને અન્ય મુલાકાતીઓ માટે 30 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. આ વેધશાળા શિક્ષણ, પર્યટન અને અદ્યતન ટેક્નોલૉજીનો આ સંગમ વિજ્ઞાનને રસપ્રદ અને સરળ બનાવવા માટે GUJCOSTની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.




















