પાટણ જિલ્લાના હારીજમાં મોબુજી સોનાજી ઠાકોરના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં નવા સામાજિક નિયમોનો ભંગ થયો છે. ડીજે અને મોટા આયોજનો પર પ્રતિબંધ હોવા છતાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
Thakor Samaj: હારીજમાં લગ્ન પ્રસંગે ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું, 1.5 લાખનો દંડ ન ભરે તો સમાજ બહાર કરાશે.

- ઠાકોર સમાજના નવા નિયમોનો ભંગ, લગ્નમાં ભવ્ય રાસ-ગરબા યોજાયા.
- નિયમ તોડનાર પરિવારને રૂ. 1.5 લાખનો દંડ ફટકારાયો.
- દંડ નહીં ભર્યો તો સમાજમાંથી બહિષ્કારની ચીમકી અપાઈ.
- કુરિવાજો દૂર કરવા સમાજે 16 મહત્વના નિયમો ઘડ્યા.
Thakor Samaj: પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા સામાજિક નિયમો (બંધારણ) નો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. મોબુજી સોનાજી ઠાકોરના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવતા જ સમાજના આગેવાનોએ તાત્કાલિક એક બેઠક બોલાવીને નિયમ તોડનાર પરિવારને 1.5 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, જો આવતીકાલ સાંજ સુધીમાં આ દંડ ભરવામાં નહીં આવે તો તેમને સમાજમાંથી બહાર કાઢવાની કડક ચીમકી પણ આપવામાં આવી છે.
સમાજની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
હારીજમાં અર્જુન ઠાકોરના સાસરિયામાં એટલે કે મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્નનો માહોલ હતો. સમાજના નવા બંધારણમાં ડીજે કે મોટા આયોજનો પર પ્રતિબંધ હોવા છતાં, અહીં ભવ્ય રાસ-ગરબા રમાડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હારીજમાં ઠાકોર સમાજ અને તાલુકા સમિતિના આગેવાનોની એક તાત્કાલિક બેઠક મળી હતી. આ બેઠકમાં હારીજના 4 ગામોમાં બંધારણ તૂટવા મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી. જે પરિવારે આ નિયમ તોડ્યો છે, તેમને બેઠકમાં રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને સમાજે કડક વલણ અપનાવતા આવતીકાલ સાંજ સુધીનો સમય આપીને 1.5 લાખનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.
કેવી રીતે બન્યું હતું ઠાકોર સમાજનું નવું બંધારણ?
તમને જણાવી દઈએ કે, ગત 15-11-2025 ના રોજ દિયોદરના ઓગડધામમાં ઠાકોર સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ મોટા નેતાઓ અને સાધુ-સંતો એક જ મંચ પર જોવા મળ્યા હતા. અગાઉ દરેક તાલુકા અને ગામોમાં મિટિંગો કરીને 2 લાખ લોકોની લેખિત મંજૂરી લેવામાં આવી હતી. આ સંમેલનમાં સર્વસંમતિથી કુરિવાજો દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો અને સાંસદ ગેનીબેને 16 મુદ્દાઓનું આ નવું 'બંધારણ' જાહેર કર્યું હતું.
Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'
શું છે ઠાકોર સમાજના 16 મહત્વના નિયમો?
- સગાઈમાં 21 થી વધારે વ્યક્તિઓ જઈ શકશે નહીં.
- ઓઢામણાની વિધિમાં કપડાં કે દાગીના લઈ જવા નહીં.
- સગાઈમાં માત્ર સાડી, નાળિયેર અને 1 રૂપિયો જ આપવાનો રહેશે.
- લગ્નની તારીખ માત્ર વૈશાખ અથવા મહા મહિનામાં જ નક્કી કરી શકાશે.
- વૈશાખ અને મહા મહિનાના નક્કી કરેલા 15-15 દિવસમાં જ લગ્નો યોજવાના રહેશે.
- મોંઘી પત્રિકાઓ છપાવવા પર રોક, માત્ર સાદી આમંત્રણ પત્રિકા જ છપાવવી.
- જાનમાં સનરૂફ (Sunroof) વાળી ગાડી લઈ જવા પર મનાઈ.
- જાનમાં 11 થી વધુ ગાડીઓ લઈ જઈ શકાશે નહીં.
- જાનમાં મહિલાઓ અને પુરુષો મળીને કુલ 100 લોકો જ જઈ શકશે.
- જાનમાં વધુમાં વધુ 2 ઢોલ જ વગાડી શકાશે.
- ઠાકોર સમાજના લગ્નમાં ડીજે (DJ) વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
- પહેરામણીમાં માત્ર બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી જ આપી શકાશે.
- હલ્દી રસમ અને લગ્નમાં સ્ટાઈલથી એન્ટ્રી મારવાની પ્રથા સંપૂર્ણ બંધ.
- જમણવારના મેનુમાં મર્યાદિત વસ્તુઓ જ રાખવી.
- મામેરામાં કપડાંની પહેરામણી કરવાની પ્રથા બંધ.
- મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 રૂપિયા જ રોકડા આપી શકાશે, મામેરામાં દાગીના આપવા પર પ્રતિબંધ મૂકાયો છે.
Frequently Asked Questions
ઠાકોર સમાજના નવા સામાજિક નિયમોનો ભંગ ક્યાં થયો છે?
નિયમ તોડનાર પરિવારને કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે?
સમાજના આગેવાનોએ નિયમ તોડનાર પરિવારને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આ દંડ આવતીકાલ સાંજ સુધીમાં ભરવામાં નહીં આવે તો તેમને સમાજમાંથી બહાર કાઢવાની ચીમકી આપવામાં આવી છે.
ઠાકોર સમાજનું નવું બંધારણ ક્યારે અને ક્યાં જાહેર થયું હતું?
ગત 15-11-2025 ના રોજ દિયોદરના ઓગડધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં 16 મુદ્દાઓનું નવું 'બંધારણ' જાહેર કરવામાં આવ્યું હતું.
નવા બંધારણમાં લગ્નની તારીખ અને જાનમાં કેટલા લોકો જઈ શકે તે અંગે શું નિયમ છે?
લગ્નની તારીખ માત્ર વૈશાખ અથવા મહા મહિનામાં જ નક્કી કરી શકાશે અને તે પણ નક્કી કરેલા 15-15 દિવસમાં જ યોજાવા જોઈએ. જાનમાં કુલ 100 લોકો જઈ શકશે.






















