ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર અને દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજાએ તારાજી સર્જી; મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ પાણીમાં જતાં ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી વળતરની કરી ઉગ્ર માંગ.

Gujarat Heavy Rain Crop Damage: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદે રાજ્યના ખેડૂતોની કમર તોડી નાખી છે. મેઘમહેર હવે મેઘકહેર બનીને વરસી રહી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, નવસારી, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લાઓમાં હજારો વીઘા જમીન પર પાણી ફરી વળ્યા છે. ખેતરો હવે જાણે તળાવ કે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા ભયાનક આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. કપાસ, મગફળી, ડાંગર, જુવાર, શાકભાજી અને શેરડી સહિતનો મોંઘો પાક પાણીમાં ડૂબી જતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત ધોવાઈ ગઈ છે. ખેડૂતો અને વિવિધ સંગઠનો હવે સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાત: પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં તારાજી
ઉત્તર ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદે વિનાશ વેર્યો છે.
પાટણ: સમી, રાધનપુર, સાંતલપુર અને પાટણ તાલુકામાં 15 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ખેતરો જળમગ્ન થયા છે. કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાની પૂરી ભીતિ છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
મહેસાણા: બહુચરાજી તાલુકાના ખાભેલ, સંખલપુર, ચંદ્રોડા અને સૂરજ સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. 10 ઇંચથી વધુ વરસાદને કારણે જુવાર, તુવેર અને કઠોળનું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે.
બનાસકાંઠા: ઓગડ-નેકોઈ ગામના તળાવની પાળ તૂટવાથી ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. વાવ, થરાદ, ભાભર, દિયોદર અને લાખણી પંથકમાં મગફળી અને બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. ભાભરના ખારા અને મીઠા ગામોમાં 100થી વધુ ખેડૂતોને લાખોનું નુકસાન થયાનો અંદાજ છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત: ખેડા, આણંદ, નવસારી અને સુરત
મધ્ય અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ પણ દયનીય છે.
ખેડા અને આણંદ: મહેમદાવાદના છાપરા અને માતરના માલાવાડા-દેથલી ગામના રસ્તાઓ અને ખેતરોમાં 4 થી 6 ફૂટ પાણી ભરાયા છે. દલોલી ગામની 2000 વીઘા જમીન જળમગ્ન થઈ છે. હજારો એકરમાં તૈયાર કરેલું ડાંગરનું ધરું (રોપા) કોહવાઈ જવાની ભીતિ છે. આણંદના તારાપુરમાં પણ ડાંગરના પાકને ભારે નુકસાન છે.
નવસારી: પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે 360 જેટલા ગામો પ્રભાવિત થયા છે. 50,000 હેક્ટરમાં ડાંગર અને 20,000 હેક્ટરમાં શેરડીના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે. ખેતીવાડી વિભાગે અહીં સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે.
સુરત: ઓલપાડના અંબેટા ગામમાં પાણી ભરાતા શાકભાજીનો પાક નષ્ટ થયો છે. સ્થાનિકોનો આરોપ છે કે સુડા (SUDA) દ્વારા આડેધડ બાંધકામની મંજૂરી આપવાને કારણે પાણીના નિકાલનો માર્ગ અવરોધાયો છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
સૌરાષ્ટ્ર: અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ખેડૂતો બેહાલ
સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ પૂરની લપેટમાં આવ્યા છે.
અમરેલી: સાવરકુંડલા અને લીલિયા પંથકમાં શેત્રુંજી અને શેલ નદીના પાણી કાંઠાના 18 ગામોના ખેતરોમાં ફરી વળ્યા છે. બોરાળા, ક્રાંકચ જેવા ગામોમાં 450 હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાતા કપાસનો પાક અને ખેતરોના પાળા ધોવાઈ ગયા છે.
સુરેન્દ્રનગર: લખતર તાલુકાના ઢાંકી ગામે ઉમઈ નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. મોરબી નજીક નર્મદાની બ્રાન્ચ કેનાલ તૂટતા 18 વીઘામાં વાવેલા શાકભાજીના પાકને નુકસાન થયું છે.
જૂનાગઢ: માંગરોળના દરસાલી ગામમાં વરસાદને કારણે ખેતર જવાનો વર્ષો જૂનો રસ્તો બંધ થઈ જતાં ખેડૂતોએ મામલતદારને આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ભારતીય કિસાન સંઘની રાજ્ય સરકારને રજૂઆત
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય કિસાન સંઘે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. સંઘે બીજ નિગમની નવી પોલિસીમાં ફેરફાર કરવાની માંગ કરી છે. હાલ નવી પોલિસી હેઠળ MSP ના 15% વધારા સાથે ખેડૂતોને નાણાં ચૂકવાય છે, પરંતુ કિસાન સંઘની માંગ છે કે ખેડૂતોને બિયારણ લાવવાથી લઈને પાક પકવીને પરત આપવા સુધીના તમામ ખર્ચની ગણતરી ધ્યાનમાં રાખીને વળતરની પોલિસી નક્કી કરવામાં આવે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી





















