શિક્ષકો અંગેના નિવેદનથી રાજકીય ગરમાવો, રમેશ કટારા ઘેરાયા, શિક્ષકોમાં આક્રોશ
ગોધરામાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓને લઈને કરેલી ટિપ્પણી બાદ રાજ્યભરમાં વિવાદ સર્જાયો છે.મંત્રીના નિવેદનથી શિક્ષક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે.

ગોધરા: કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાના શિક્ષકોને લઈને કરાયેલા નિવેદન બાદ રાજ્યભરમાં શિક્ષક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની કાર્યશૈલી અંગે ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે.
રમેશ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "ઘણી વખત શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણ આપવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. આજે સારો પગાર અને પગારપંચના લાભો મળતા હોવા છતાં કેટલાક લોકો કામ કરવા તૈયાર નથી." તેમણે એમ પણ કહ્યું કે અગાઉ લોકો 500થી 1000 રૂપિયાના પગારમાં પણ નિષ્ઠાપૂર્વક નોકરી કરતા હતા.
આ પણ વાંચો: શિક્ષકોના પ્રશ્નોને લઈને શૈક્ષિક મહાસંઘ મેદાને, 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ
કૃષિ રાજ્યમંત્રીએ આળસુ અધિકારીઓને પણ આડે હાથ લેતા કહ્યું કે, "જેનું ખાઈએ તેનું ગાઈએ" અને તમામ અધિકારીઓએ આળસ છોડીને નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ.
જોકે મંત્રીના આ નિવેદન સામે શિક્ષક સંગઠનો અને શિક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. શિક્ષકોનું કહેવું છે કે, સાચી પરિસ્થિતિ જાણ્યા વિના આવા નિવેદનો કરવાથી શિક્ષક સમાજની લાગણી દુભાય છે. શિક્ષકોના જણાવ્યા મુજબ શિક્ષણ ઉપરાંત ચૂંટણી, સર્વે, વસ્તી ગણતરી સહિત અન્ય વિભાગોની અનેક જવાબદારીઓ પણ તેમના પર સોંપવામાં આવે છે.
શિક્ષકોએ દલીલ કરી કે, મોબાઈલનો ઉપયોગ ઓનલાઈન હાજરી, શૈક્ષણિક એપ્લિકેશન અને સ્માર્ટ શિક્ષણ માટે કરવામાં આવે છે. ઘણા શિક્ષકો પોતાના ખર્ચે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પૂરું પાડે છે.
શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ મિતેશ ભટ્ટે મંત્રીના નિવેદનની ટીકા કરતા જણાવ્યું કે, "સરકાર દ્વારા સમયાંતરે પગારપંચનો લાભ આપવો એ વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે. શિક્ષકોને પોતાની સમસ્યાઓ અને રજૂઆતો માટે ઘણી વખત આંદોલન કે ધરણાંનો માર્ગ અપનાવવો પડે છે. તેમણે મંત્રીને શિક્ષકો સાથે બેઠક યોજવા પણ અપીલ કરી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેતા રાકેશ ઠાકરે જણાવ્યું કે 2016થી લાગુ થયેલા સાતમા પગારપંચના કેટલાક ભથ્થા હજુ સુધી મળ્યા નથી. તેમણે કહ્યું કે મંત્રીના નિવેદનથી શિક્ષકોની લાગણી દુભાઈ છે અને રમેશ કટારાએ શિક્ષક સમાજની જાહેર માફી માંગવી જોઈએ.
બીજી તરફ, શિક્ષણવિદ્ અને સામાજિક આગેવાન દિગ્વિજયસિંહ જાડેજાએ પણ મંત્રીના નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. મંત્રીના નિવેદનને લઈને હવે શિક્ષક સંગઠનો અને સરકાર વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા






















