![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે
![સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ The standard seven examination to be held in the state today and tomorrow has been canceled સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/22/a4f6dced6862a94128149131b141bdf8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધોરણ સાતના પ્રશ્નપત્રની ચોરીને પગલે રાજ્યમાં 22 અને 23 એપ્રિલની ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ધોરણ સાતનું આજે વિજ્ઞાનનું પેપર અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરાયાની પુષ્ટી કરવામાં આવી છે. અમરેલી, મહેસાણા અને બોટાદ જિલ્લામાં આજની પરીક્ષા રદ કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. સ્કૂલમાંથી ધોરણ સાતનું વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની ચોરી થઇ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાત્રે જ સાતથી આઠ શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
ખાનગી શાળાના સંચાલકોએ CMને પત્ર લખી આટલા ટકા ફી વધારાની કરી માંગ
રાજ્યમાં ફરી ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકે છે. ખાનગી શાળાના સંચાલકોએ 5-5 હજાર ફી વધારવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ફી સ્લેબમાં 33 ટકાનો વધારો માંગ્યો છે. પ્રાથમિક શાળા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા, વિજ્ઞાન પ્રવાહની ઉ.માધ્યમિક શાળામાં 33 ટકાનો ફી વધારો કરવા શાળા સંચાલકોએ મુખ્યપ્રધાન સમક્ષ માંગ કરી છે.
કોરોનાકાળ બાદ હાલ સ્કૂલો ફરી ધમધમી રહી છે. કેટલાય સમયથી ફી વધારવાની માંગ કરતાં સંચાલકોને હવે ફાવતું જડ્યું છે. સામે વાલીઓને લાગે છે કે હવે કપરા દિવસો આવશે કારણ કે ખાનગી શાળાઓના ફી સ્લેબમાં વધારો કરવાની માગ તીવ્ર બની છે.
પ્રાથમિક શાળામાં ફી રૂ.15 હજારથી વધારીને રૂ.20 હજાર કરવા માગ કરવામાં આવી છે જ્યારે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.25 હજારને સ્થાને રૂ.30 હજારની માગ સીએમ સમક્ષ કરવામાં આવી છે. તો વિજ્ઞાન પ્રવાહની ઉ.માધ્યમિક શાળામાં રૂપિયા 30 હજારને બદલે રૂપિયા 36 હજારની માગ મૂકવામાં આવી છે.
મહત્વનું છે કે શાળા સંચાલક મહામંડળની કોર કમિટીમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં મહામંડળ સાથે જોડાયેલી શાળાના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જે બાદ ફી વધારો તેમજ સ્વનિર્ભર શાળાઓના કર્મીઓનો શૈક્ષણિક અનુભવ ગણતરીમાં લેવાની માંગ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ પર ફી નિયંત્રણ કરી શકાય તે ઉદ્દેશ સાથે ફી રેગ્યુલેશન એક્ટ લાવવામાં આવ્યો હતો અને તેના માટે ફી રેગ્યુલેશન કમિટીની રચના પણ કરવામા આવી હતી.પરંતુ 2017થી અમલમાં આવેલી FRC સતત ગોકળગતીએ ચાલી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)