દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના બની છે. હિંગળાજ માતાજીના મંદિર પાસે આવેલા તળાવમાં 7 બાળકો ડૂબ્યાં હતાં, જેમાંથી એકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

સંઘ પ્રદેશ દમણમાં આટીયાવાડ વિસ્તારમાં આવેલા તળાવમાં 4 બાળકો ડૂબી જતાં તેના મોત થયા છે. આ ઘટનાથી આ દમણમાં અરેેરાટી મચી ગઇ છે. દમણમાં સાત બાળકો તળાવમાં નાહ્મવા પડયાં હતા. જેમાંથી એકનું સફળ રેસ્ક્યુ કરીને જિંદગી બચાવી લેવાઇ હતી. જ્યારે 4 બાળકોના મૃતદેહ મળ્યાં છે. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકોની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દુર્ઘટનામાં સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધો છે. તો 4 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ ડુબેલા 2 બાળકોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને પગલે સંઘ પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.
આ બાળકો સાંજે તળાવ પાસે રમતાં -રમતાં ન્હાવા પડેલા હતા, જો કે 7 કિશોરોમાંથી 4 કિશોરોને તરતા ન આવડતું ન હોવાથી ડૂબી ગયા હતા. જેના મૃતદેહ મળ્યાં છે. જ્યારે એક બાળકને સ્થાનિકોએ તાબડતોબ બચાવી લીઘો છે. જ્યારે 2 બાળકોની તલાશ ચાલુ છે. 4 બાળકો ડૂબવા લાગતા અન્ય બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી મુકી હતી. જેથી મદદની ચીસ સાંભળતા જ નજીકના વિસ્તારમાં રહેતા એક સ્થાનિક યુવકે તાત્કાલિક તળાવમાં કૂદી પડતા એક કિશોરને જીવતો બહાર કાઢ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર ફાઈટર ટીમ તેમજ દમણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
બાળકને બચાવનાર યુવકે જણાવ્યું કે, "હું મારા ઘરે હતો ત્યારે અચાનક બૂમો સંભળાતા હું તરત જ તળાવ તરફ દોડ્યો હતો અને કંઇ પણ વિચાર્યાં વિના તળાવમાં કૂદી ગયો હતો અને બાળકને જીવ બચાવ્યો હતો,. જો કે બાળકે પાણી પી લીધું હોવાથી બેભાન થઇ ગયો હતો. જેને પ્રાથમિક સારવાર આપતાં પાણી નીકળી ગયું હતું અને બાળકનો જીવ બચી ગયો હતો. જો એક પણ ક્ષણનો વિલંબ કર્યો હોત તો આ બાળકનું જિંદગી ન બચાવી શકાત. 4 માસૂમ બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.





















