Pakistan Violates Ceasefire Live Updates: શ્રીનગરમાં ડ્રોન હુમલો, અમૃતસરમાં રેડ એલર્ટ, કચ્છમાં બ્લેકઆઉટ
યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાતના થોડા કલાકો પછી શ્રીનગર સહિત ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા

Background
અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાતના થોડા કલાકો પછી શ્રીનગર સહિત ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા અને વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યાના થોડા કલાકો પછી ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે સેનાને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુદ્ધવિરામની જાહેરાત થયા પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતને "ધમકી" આપી અને ભારત-પાકિસ્તાન તણાવ વિશે વાત કરી હતી. તેમણે પહલગામનું બહાનું બનાવીને યુદ્ધની પરિસ્થિતિ ઊભી કરવાના ભારત પર ઘણા પાયાવિહોણા આરોપો લગાવ્યા. શરીફે ચીનને એક વિશ્વાસુ મિત્ર ગણાવ્યું છે. ગઇકાલે રાત્રે પણ ભારતના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. રાજસ્થાન, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. આ અંગે વિદેશ મંત્રાલયે રાત્રે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ કરારનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના આ સરહદી અતિક્રમણ સામે કાર્યવાહી કરી રહી છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આને યોગ્ય રીતે સમજવું જોઈએ અને તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તેને નક્કર અને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, 'ભારત માટે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.'
જમ્મુ અને કાશ્મીરના નગરોટા આર્મી સ્ટેશન નજીક ગોળીબાર, એક સૈનિક ઘાયલ
શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે એક સમજૂતી થઈ હતી. આ અંતર્ગત બંને દેશો સરહદ પર તમામ લશ્કરી પ્રવૃત્તિઓ બંધ કરવા સંમત થયા હતા. પહલગામ આતંકવાદી હુમલા પછી વધી ગયેલા લશ્કરી તણાવને ઓછો કરવા માટે આ કરાર ખાસ કરવામાં આવ્યો હતો, પરંતુ શાંતિ પ્રયાસ ફક્ત થોડા કલાકો સુધી ચાલ્યો અને અહેવાલો અનુસાર, ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન, જમ્મુના નગરોટા આર્મી બેઝ પર ગોળીબારની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે, પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો હતો.
અમૃતસરમાં બ્લેકઆઉટ
અમૃતસર ડીસીએ સવારે 4.39 વાગ્યે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે "ખૂબ જ સાવધાની રાખો, કૃપા કરીને લાઇટ બંધ કરીને અને બારીઓથી દૂર ઘરની અંદર રહો. કૃપા કરીને રસ્તા પર, બાલ્કનીમાં કે ટેરેસ પર બહાર ન જાવ. ગભરાશો નહીં. અમે તમને જણાવીશું કે આપણે ક્યારથી સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકીશું,".
યુદ્ધવિરામ માટે શાહબાઝ શરીફે ટ્રમ્પનો માન્યો આભાર
ભારત સાથે યુદ્ધવિરામ માટે વિનંતી કરવી અને પછી તેનો ભંગ કરવો એ આ પાકિસ્તાનની જૂની આદત બની ગઈ છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનમાં હતાશા સ્પષ્ટપણે જોવા મળી હતી. શનિવારે રાષ્ટ્રને સંબોધનમાં શાહબાઝ શરીફે કહ્યું હતું કે ભારતે તાજેતરમાં જે કર્યું તે ખોટું હતું, જેનો આપણી સેનાએ યોગ્ય જવાબ આપ્યો. ભારતે પહલગામ હુમલાનું બહાનું બનાવીને આપણા પર યુદ્ધ થોપ્યું હતું. પાકિસ્તાને ફરી એકવાર ભારતના આરોપોને પાયાવિહોણા ગણાવીની તેની નિષ્પક્ષ તપાસની ઓફર કરી હતી.
શાહબાઝે આરોપ લગાવ્યો કે ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા હતા. ભારતે રહેણાંક વિસ્તારો પર હુમલો કરીને અમારી ધીરજની કસોટી કરી. ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈન્ય છાવણીઓ અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.
શાહબાઝ શરીફે યુદ્ધવિરામ માટે ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને ગલ્ફ દેશોનો આભાર માન્યો હતો શાહબાઝે કહ્યું- હું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવા માંગુ છું. જેમણે યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાહબાઝે યુદ્ધવિરામ માટે સાઉદી અરેબિયા, યુએઈ, તુર્કી અને કતારનો પણ આભાર માન્યો હતો.
કચ્છ અને રણ પ્રદેશ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી
ગુજરાતના કચ્છ અને રણ પ્રદેશ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી, પરંતુ દેખરેખ વધારી દેવામાં આવી. શનિવારે રાત્રે 7 વાગ્યાથી રાજ્યના દ્વારકા અને કચ્છ વિસ્તારોમાં પણ બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો હતો, જોકે પછીથી તેને પાછો ખેંચી લેવાયો હતો. રાજ્ય મુખ્યાલય/ગૃહ મંત્રાલય અને જિલ્લા વહીવટીતંત્રે રણ અને દરિયાકાંઠા/હવાઈ ક્ષેત્રમાં સમીક્ષા બેઠક યોજી હતી. આજે રાજ્યના સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય છે.





















