![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Manipur : ગૃહમંત્રી અમિત શાહે મલ્લિકાર્જુન ખડગેને ફેંક્યો ખુલ્લો પડકાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારને ચર્ચા કરવામાં કોઈ ડર જ નથી. મેં લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાને પણ પત્ર લખ્યો છે.
![Manipur : ગૃહમંત્રી અમિત શાહે મલ્લિકાર્જુન ખડગેને ફેંક્યો ખુલ્લો પડકાર Manipur : Home Minister Amit Shah Slams Congress and Opposition Parties Over Manipur Issue Discussion in Lok Sabha Manipur : ગૃહમંત્રી અમિત શાહે મલ્લિકાર્જુન ખડગેને ફેંક્યો ખુલ્લો પડકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/25/11c4d67f1eb5014429ecd2d5a366e2781690296811185724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Parliament Monsoon Session: મણિપુર પર સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ યથાવત છે. એક તરફ વિપક્ષ એ વાત પર અડગ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહની અંદર મણિપુર હિંસા પર નિવેદન આપવું જોઈએ. તો બીજી તરફ સરકાર કહી રહી છે કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષ ચર્ચાથી દૂર ભાગી રહ્યો છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારને ચર્ચા કરવામાં કોઈ ડર જ નથી. મેં લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાને પણ પત્ર લખ્યો છે.
મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એમેન્ડમેન્ટ બિલ પરની ચર્ચાના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, “તેમને (વિપક્ષને) દલિતો, મહિલાઓના કલ્યાણ અને સહકારમાં કોઈ રસ નથી. તેમના માટે સૂત્રોચ્ચાર કરવો સ્વાભાવિક બની ગયો છે, પરંતુ હું કહેવા માંગુ છું કે મેં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં વિપક્ષના નેતાને પત્ર લખ્યો છે કે, અમે મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છીએ. તેમણે ઉમેર્યું હતું કે, સરકારને મણિપુર પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં કોઈ ડર નથી. જનતા તમને જોઈ રહી છે. ચૂંટણીમાં જવું પડશે. જનતાના ડરને ધ્યાનમાં રાખો. સંવેદનશીલ મુદ્દા માટે ગૃહમાં યોગ્ય વાતાવરણ બનાવો.
અમિત શાહે પત્રમાં શું લખ્યું?
અધીર રંજન ચૌધરી અને ખડગેને લખેલા પત્રમાં અમિત શાહે કહ્યું હતું કે, હું તમને મણિપુરની ઘટનાઓ પર ચર્ચા કરવા માટે તમારો સહયોગ માંગવા માટે પત્ર લખી રહ્યો છું. આપણી સંસદ એ ભારતના જીવંત લોકતંત્રનો પાયાનો પથ્થર છે. તે આપણી સામૂહિક ઇચ્છાના પ્રતીક તરીકે ઊભું છે અને રચનાત્મક ચર્ચા, અર્થપૂર્ણ ચર્ચા અને લોકો તરફી કાયદા માટે પ્રાથમિક મંચ તરીકે કામ કરે છે.
શાહે વધુમાં કહ્યું હતું કે, તમે જાણો છો કે મણિપુર ભારતનું ખૂબ જ મહત્વપૂર્ણ સરહદી રાજ્ય છે. મણિપુરનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો માત્ર મણિપુરની જ નહીં પરંતુ સમગ્ર ભારતની સંસ્કૃતિનું રત્ન છે.
અમિત શાહે વિરોધ પક્ષોને શું કરી વિનંતી?
અમિત શાહે કહ્યું હતું કે, મણિપુરમાં ભાજપના 6 વર્ષના શાસનમાં પ્રદેશ શાંતિ અને વિકાસના નવા યુગનો અનુભવ કરી રહ્યો છે. પરંતુ કોર્ટના કેટલાક નિર્ણયો અને કેટલીક ઘટનાઓને કારણે મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓ બની હતી. કેટલીક શરમજનક ઘટનાઓ પણ સામે આવી છે. આ ઘટનાઓ બાદ સમગ્ર દેશના લોકો, પૂર્વોત્તરના લોકો અને ખાસ કરીને મણિપુરના લોકો દેશની સંસદ પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે, આ મુશ્કેલ સમયમાં તમામ પક્ષો પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને મણિપુરના લોકોની સાથે ઉભા રહે.
તેમણે કહ્યું હતું કે, આ સમયે મણિપુરના લોકો ઈચ્છે છે કે, અમે તમામ પક્ષોના સંસદસભ્યો તેમને ખાતરી આપીએ કે અમે મણિપુરની શાંતિ માટે એકજૂટ અને સંકલ્પબદ્ધ છીએ. ભૂતકાળમાં આપણી મહાન સંસદે પણ આ બતાવ્યું છે. વિપક્ષની માંગ છે કે, સરકાર મણિપુર પર નિવેદન આપે. હું તમને જણાવવા માંગુ છું કે, સરકાર માત્ર નિવેદન માટે જ નહીં પરંતુ વિસ્તારપૂર્વક ચર્ચા માટે પણ તૈયાર છે, પરંતુ તેમાં તમામ પક્ષોનો સહયોગ અપેક્ષિત છે. હું વિરોધ પક્ષોને વિનંતી કરું છું કે, તેઓ સારા વાતાવરણમાં ચર્ચા માટે આગળ આવે.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું હતું કે, પીએમ મોદીએ સંસદમાં મણિપુરની સ્થિતિ વિશે વિગતવાર નિવેદન આપવું જોઈએ અને દેશને વિશ્વાસમાં લેવો જોઈએ. વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ' (ઈન્ડિયા) ના ઘટકોની બેઠક બાદ ખડગેએ એમ પણ કહ્યું હતું કે, મણિપુરમાં જે થઈ રહ્યું છે તે આ સરહદી રાજ્ય માટે અયોગ્ય છે.
તેમણે ટ્વીટ કર્યું હતું કે, “PM મોદીએ મણિપુરમાં 83 દિવસથી ચાલી રહેલી હિંસા પર સંસદમાં વિગતવાર નિવેદન આપવાની જરૂર છે. એકથી એક ભયાનક ઘટનાઓ હવે ધીમે ધીમે સામે આવી રહી છે. 'INDIA'એ મણિપુર હિંસા પર મોદી સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
ખડગેએ કહ્યું હતું કે, પૂર્વોત્તરમાં સ્થિતિ ગંભીર છે અને મણિપુર હિંસા અન્ય રાજ્યોને પણ અસર કરી રહી છે. આ આપણા સંવેદનશીલ સરહદી રાજ્યો માટે તદ્દન અયોગ્ય બાબત છે. હવે સમય આવી ગયો છે કે, વડાપ્રધાન મોદી પોતાનો ઘમંડ બાજુ પર મુકે અને મણિપુર પર દેશને વિશ્વાસમાં લે. પીએમ મોદીએ જણાવવું જોઈએ કે, તેમની સરકાર સ્થિતિ સુધારવા માટે શું કરી રહી છે અને મણિપુરમાં સ્થિતિ ક્યારે સામાન્ય થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)