Operation Sindoor: તણાવ વધતા ભારતીય વાયુસેનાને અપાઇ ખુલ્લી છૂટ, શું વધુ એક ઓપરેશન કરશે સેના ?
Operation Sindoor: દેશભરના 27 એરપોર્ટ હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના એરપોર્ટ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં છે

Operation Sindoor: 6-7 મેની રાત્રે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હુમલા બાદથી પાકિસ્તાન સતત LoC પર ગોળીબાર કરી રહ્યું છે. સરહદ પારથી થયેલા આ કાયરતાપૂર્ણ કૃત્યને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેનાને હવે છૂટ આપવામાં આવી છે. વાયુસેનાને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તેમને કંઈપણ શંકાસ્પદ દેખાય તો તેઓ સંપૂર્ણ તાકાતથી જવાબ આપી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NSA અજિત ડોભાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. NSA અજિત ડોભાલ પ્રધાનમંત્રી મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં એક સર્વપક્ષીય બેઠક પણ યોજાશે. આ બેઠકમાં તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.
દેશભરના 27 એરપોર્ટ હાલ માટે બંધ
દેશભરના 27 એરપોર્ટ હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના એરપોર્ટ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં છે. આમાં શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણાના એરપોર્ટનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની સેનાએ LoC પર ભારે ગોળીબાર કર્યો
બુધવારે (૭ મે) ના રોજ, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો. આ હુમલામાં ચાર બાળકો અને એક સૈનિક સહિત ૧૩ લોકો માર્યા ગયા હતા. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ પાકિસ્તાન સેના દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પંજાબના ફિરોઝપુરની આસપાસના ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા
ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો છે અને ગોળીબારમાં સામેલ તેમની ઘણી ચોકીઓનો નાશ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારે ગોળીબારને કારણે સ્થાનિક લોકોને પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પંજાબના ફિરોઝપુર જિલ્લાના કેટલાક સરહદી ગામોના લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.





















