Rajkot: 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મોત મામલે ડોક્ટરોના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
રાજકોટમાં છેલ્લા એક મહિનામાં બે વિદ્યાર્થીઓના મોત થવાની ઘટનાએ ડોક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે.
રાજકોટમાં છેલ્લા એક મહિનામાં બે વિદ્યાર્થીઓના મોત થવાની ઘટનાએ ડોક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે. નાના બાળકોના મોત મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બની રહ્યા છે. ગઇકાલે રાજકોટના લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 12નો વિદ્યાર્થી મુદીત અક્ષય નળિયાપરા અચાનક ક્લાસમાં બેભાન થઇને ઢળી પડ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.
ડોક્ટરોના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મુદીતનું મૃત્યુ હાર્ટમાં ખામીના કારણે થયું હતું. હાર્ટની એક દીવાલ પાતળી અને બીજી દીવાલ જાડી હોવાની પણ વાત ડોક્ટરોના રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. ડોક્ટરોએ આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવ્યો હતો. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ રાજકોટના રીબડા ગામે ધોરણ 10માં અભ્યાસ કરતા હતો વિદ્યાર્થી પણ અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને નાનપણથી હાર્ટનો ભાર વધવાની બીમારી હતી. હૃદય વધુ ભારવાળું થયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જે વિદ્યાર્થીઓના મૃત્યુ થાય તેને સિવિલના ડોક્ટરો હાર્ટમાં ખામીઓ કહી રહ્યા છે. આ મામલે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
નોંધનીય છે કે ગઇકાલે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય મુદીત અક્ષય નળિયાપરા નામના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું હતું. વિદ્યાર્થી ચાલુ ક્લાસે અચાનક ઢળી પડ્યો હતો. તેને બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.
થોડા દિવસ અગાઉ રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.
Join Our Official Telegram Channel: