ટ્રંપ ટેરિફના કારણે સુરતમાં રત્ન કલાકારો ચિંતામાં, હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીની આશંકા!
ટ્રંપના ટેરિફ કાર્ડની અસર ભારતના ડાયમંડ ઉદ્યોગ પર પણ જોવા મળશે. સુરતના ડાયમંડ ઉદ્યોગકારો આ ટેરિફને લઈ ચિંતિત છે.

સુરત: ટ્રંપના ટેરિફ કાર્ડની અસર ભારતના ડાયમંડ ઉદ્યોગ પર પણ જોવા મળશે. સુરતના ડાયમંડ ઉદ્યોગકારો આ ટેરિફને લઈ ચિંતિત છે. સુરત ડાયમંડ માર્કેટમાં ટેરીફની નકારાત્મક અસર ઉભી થવાની સંભાવના છે. હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ ચિંતા વ્યક્ત કરી છે. US રાષ્ટ્રપતિ ટ્રંપે ગુજરાતના હીરા ઉદ્યોગને પડ્યા પર પાટું માર્યું છે. 0 ટકા ટેરિફ હતો, હવે સીધો 26 ટકા ટેરિફ લાગૂ થશે. દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, એક્સપોર્ટમાં પ્રતિ કેરેટ રૂ. 2 લાખ સુધીનો વધારો થશે.
ટેરિફને લઈ ડાયમંડ માર્કેટમાં નેગેટિવ ઈમ્પેક્ટ ઉભી થઈ
હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ કહ્યું, 35 ટકા માલ માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. ટેરિફને લઈ ડાયમંડ માર્કેટમાં નેગેટિવ ઈમ્પેક્ટ ઉભી થઈ છે. 35 ટકા કટ એન્ડ પોલિશ બિઝનેસ અમેરિકામાં હતો. તેમણે જણાવ્યું કે, 9.5 બિલિયન ડોલરનું એક્સપોર્ટ વર્ષ 2023-24માં થયું હતું. બે મહિનામાં ડાયમંડ માર્કેટમાં સુધારની આશા હતી. આ રીતની પરિસ્થિતિ રહી તો હીરા ઉદ્યોગમાં ભારે મંદી પ્રવર્તશે.
ટેરીફને લઈ સમગ્ર વિશ્વના શેર બજાર પર તેની અસર જોવા મળી રહી છે. ભારતીય શેર બજારમાં તો હાહાકાર મચી ગયો છે. બે મહિનામાં ડાયમંડ બજારમાં સુધારો થશે તેવી આશા હતી પરંતુ જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી પ્રવર્તશે તેવુ લાગી રહ્યું છે.
વૈશ્વિક વેપાર યુદ્ધની ચિંતા અને અમેરિકામાં મંદીના વધતા ભય વચ્ચે સોમવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 3,939.68 પોઈન્ટ ઘટીને 71,425.01 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1,160.8 પોઈન્ટ ઘટીને 21,743.65 પર બંધ રહ્યો હતો. તમામ 13 મુખ્ય ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈના તાજેતરના ડેટા દર્શાવે છે કે બીએસઈ પર લિસ્ટેડ બધી કંપનીઓના બજાર મૂડીકરણમાં 19 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
આઇટી કંપનીઓ જે તેમની આવકનો મોટો હિસ્સો અમેરિકાથી કમાય છે. તેને 7 ટકાનું નુકસાન થયું. વ્યાપક સ્મોલ-કેપ અને મિડ-કેપ સૂચકાંકો અનુક્રમે 6.2 ટકા અને 4.6 ટકા ઘટ્યા હતા. સમય જતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વિશ્વભરના બજારોમાં વેચવાલી
ટ્રમ્પના ટેરિફ આતંકને કારણે વિશ્વભરના બજારોમાં વેચવાલી થઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તેની ટેરિફ યોજનાઓમાંથી પીછેહઠ કરવાના કોઈ સંકેતો દર્શાવ્યા નથી. તેની અસર આજે ભારતીય બજાર પર પણ પડી છે.
બજારમાં મંદીની ચિંતા વધી
ટ્રમ્પ વહીવટીતંત્રે 180 થી વધુ દેશો પર લાદવામાં આવેલા ટેરિફ પર કડક વલણ અપનાવ્યું છે. આનાથી બજારની અસ્થિરતા અને ચિંતામાં વધારો થયો છે, અને ઝડપી વાટાઘાટોના સાનુકૂળ પરિણામની આશાઓ છીનવાઈ ગઈ છે. તેના કારણે અમેરિકા સહિત વિશ્વભરના દેશોમાં મંદીનું જોખમ વધી ગયું છે.



















