Surat Rain: સુરતમાં અતિભારે વરસાદ, 2 કલાકમાં સાડા 5 ઇંચ વરસ્યો, તમામ વિસ્તારમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
Surat Rain:સુરતમાં મેઘરાજાની ધૂવાધાર બેટિંગે વરાછા સહિતના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા છે.

Surat Rain update:સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ છે. બે કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદથી સુરત જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નોંધનિય છે કે, સુરત શહેરમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 5.67 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે. સુરત શહેરના તમામ વિસ્તારમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા છે. સુરતના અનેક માર્કેટોમાં પાણી પાણી થઇ ગઇ છે સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન છે. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાતા આ વિસ્તારની રસ્તો બ્લોક થઇ ગયો છે. અડાજણના એલપી સવાણી સર્કલ નજીક કેનાલ રોડ પર પાણી ભરાયા છે. વેડરોડ ખાતે આવેલી ધર્મનંદન ચોક ખાતે રસ્તા પર જ નદી ધસી આવી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
સુરતમાં અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટ,રાંદેર, અડાજણ,પાલ, અઠવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરી છે.સુરતના કામરેજ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવીની ફરજ પડી હતી. સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે. અહીં દર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાય છે.
સુરતના અડાજણ, પાલ, રાંદેર સહિતના વિસ્તારો પણ પાણી પાણી થયા છે. કૃષ્ણનગર રોડ પણ વરસાદી પાણી ભરાયા છે. વેડ, ડભોલી, ડુમસ રોડ પણ જળબંબાકાર છે. રાંદેર વિસ્તારના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.સુરતના કતારગામમાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ધનમોરા ચાર રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કતારગામમાં ચાર રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે.
સુરતનાં જળભરાવે સુરતના પ્રિમોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. મહાનગરપાલિકાના દાવાનું વરસાદમાં ધોવાણ થઇ ગયું છે. માત્ર 2 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદે સુરતની ડેનેજ સિસ્ટમ અને પ્રિમોસૂન પ્લાન પર સવાલ ઉભા કર્યાં છે. સુરતના મોટાભાગના રસ્તા પર પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આજની વર્તમાન સ્થિતિ પાછલા વર્ષો જેવી જ જણાઈ રહી છે. વરસાદને કારણે કતારગામ, સિંગણપોર ચાર રસ્તા, વરાછા, ઉધના ત્રણ રસ્તા અને પાંડેસરાના કેટલાક વિસ્તારો જળમગ્ન થતાં સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.





















