આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જાહેર કરાયેલ 13 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદીથી ઘણા કાર્યકરો નારાજ છે. તેમને ટિકિટ ન મળતા પાર્ટી કાર્યાલય બહાર રાજીનામા આપી વિરોધ નોંધાવ્યો છે.
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
આગામી પાલિકા ચૂંટણી માટે 13 વોર્ડના 24 ઉમેદવારોની યાદી જાહેર થતાં જ પક્ષમાં ભારે નારાજગી. શહેર પ્રમુખ અશોક ઓઝાએ રાજીનામું આપ્યું, પણ સોશિયલ મીડિયા પરથી મેસેજ ડિલીટ કરી ગુલાંટ મારી.

આગામી વડોદરા મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) માં મોટો ભડકો જોવા મળ્યો છે. 24 માર્ચના રોજ પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં 13 વોર્ડ માટે 24 ઉમેદવારો જાહેર કર્યા છે, અને આ જાહેરાતની સાથે જ વડોદરામાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા કાર્યકરોએ જેતલપુર રોડ પર આવેલા પાર્ટી કાર્યાલયની બહાર પોતાના ખેસ લટકાવીને ખુલ્લેઆમ રાજીનામા આપી દીધા છે. ખુદ શહેર પ્રમુખ અશોક ઓઝાએ પણ રાજીનામું આપ્યાના અને પછી પીછેહઠ કર્યાના અહેવાલો છે. નારાજ કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે દબાણ હેઠળ એવા લોકોને ટિકિટ અપાઈ છે જેઓ ક્યારેય જીતી શકે તેમ નથી. આમ, ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ વડોદરામાં આમ આદમી પાર્ટી માટે 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' (શરૂઆતમાં જ વિઘ્ન) જેવો ઘાટ સર્જાયો છે.
કાર્યાલય બહાર ખેસ લટકાવી વિરોધ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે તેવી શક્યતા છે. આ સંજોગોમાં AAP ના પ્રદેશ કાર્યાલય તરફથી વોર્ડ નંબર 1, 4, 5, 6, 7, 8, 9, 12, 13, 16, 17, 18 અને 19 ના કુલ 24 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં પોતાનું નામ ન હોવાથી ઘણા વફાદાર દાવેદારો રોષે ભરાયા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 12 અને 13 ના દાવેદારોએ જેતલપુર રોડ સ્થિત પાર્ટીની ઓફિસે પહોંચીને પોતાના ગળામાંથી ખેસ કાઢી કાર્યાલયની બહાર લટકાવી દીધા હતા. સ્થળ પર જ 7 જેટલા કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવીને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી.
શહેર પ્રમુખની ગુલાંટ અને કાર્યકરોનો ખુલ્લો પડકાર
આ સમગ્ર વિવાદમાં વડોદરાના શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાની ભૂમિકા ચર્ચામાં રહી છે. તેમણે AAP પ્રદેશના સોશિયલ મીડિયા ગ્રુપમાં પોતાનું રાજીનામું મૂકી દીધું હતું, પરંતુ થોડી જ વારમાં તે મેસેજ ડિલીટ કરીને ગુલાંટ મારી લીધી હતી. બીજી બાજુ, વિરોધ કરી રહેલા 5 જેટલા કાર્યકરોએ તો ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, "આ યાદીમાં એક પણ ઉમેદવાર એવો નથી જે જીતી શકે. જો આમાંથી કોઈ એક ઉમેદવારની ડિપોઝિટ પણ પાછી આવશે, તો હું આખું ગામ ફરીને મુંડન કરાવીશ."
"દિલ્હીથી નક્કી થઈ છે ટિકિટો, જૂના જોગીઓની અવગણના"
નારાજ કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે આ ઉમેદવારોની પસંદગી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સીધી દિલ્હીથી કરવામાં આવી છે. કેટલાક કાર્યકરોએ તો AAP ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહી હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ મામલે વોર્ડ નંબર 13 ના પ્રભારી રાજેશ માળીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "આ યાદીમાં એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે, જેઓ માંડ એક કે બે મહિના પહેલા જ પાર્ટીમાં જોડાયા છે. અમે લોકો વર્ષોથી પાર્ટી માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ, તેમ છતાં અમારી સાવ અવગણના કરવામાં આવી છે."
Frequently Asked Questions
આમ આદમી પાર્ટી (AAP) માં વડોદરામાં શા માટે વિરોધ જોવા મળ્યો છે?
નારાજ કાર્યકરો દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યો છે?
નારાજ કાર્યકરોનો આક્ષેપ છે કે દબાણ હેઠળ એવા લોકોને ટિકિટ અપાઈ છે જેઓ ચૂંટણી જીતી શકે તેમ નથી. તેઓએ કહ્યું કે ટિકિટો દિલ્હીથી નક્કી થઈ છે અને જૂના કાર્યકરોની અવગણના થઈ છે.
શહેર પ્રમુખ અશોક ઓઝાની આ વિવાદમાં શું ભૂમિકા રહી?
શહેર પ્રમુખ અશોક ઓઝાએ શરૂઆતમાં સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજીનામું આપ્યું હતું, પરંતુ બાદમાં તે મેસેજ ડિલીટ કરીને તેમણે પોતાની ભૂમિકા બદલી હતી.
શું AAP ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહી છે તેવો કોઈ આક્ષેપ થયો છે?
હા, કેટલાક કાર્યકરોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી (AAP) ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહી છે.























