Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દંતેશ્વર વુડાના મકાનો પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મેહુલ દરબાર નામના યુવકની ચાકુના આડેધડ ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. સૌથી કરૂણતા એ છે કે બુધવારે જ મૃતક મેહુલનો જન્મદિવસ હતો. જે દિવસે ઘરમાં ખુશી અને ઉત્સવનો માહોલ હોવો જોઈતો હતો, તે જ દિવસે યુવકની હત્યા થતાં પરિવાર પર શોકનો માહોલ છવાયો હતો. આ ક્રૂર હત્યા પાછળ જૂની અંગત અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક મેહુલને ત્રણ દિવસ પૂર્વે વિજય, પદમ અને અન્ય કેટલાક સ્થાનિક યુવકો સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ બાબતનું સમાધાન લાવવાના બહાને આરોપીઓએ મેહુલને દંતેશ્વર વુડાના મકાન પાસે બોલાવ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ, મેહુલ ત્યાં પહોંચતાં જ આરોપીઓએ તેની સાથે ફરીથી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી.વાતચીત દરમિયાન જ ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે મેહુલ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મેહુલ જમીન પર ઢળી પડતાં જ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઘવાયેલા મેહુલને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું.





















