'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
અગાઉ પણ કેનેડાએ આવા જ આરોપો લગાવ્યા છે જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે

24 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કેનેડાએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. કેનેડાએ કહ્યું છે કે ભારત ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કરી શકે છે, કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા છે.
સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, કેનેડાની ગુપ્તચર એજન્સીએ સોમવારે દાવો કર્યો હતો કે ભારત અને ચીન આગામી કેનેડાની સામાન્ય ચૂંટણીઓમાં દખલ કરવાનો પ્રયાસ કરી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રશિયા અને પાકિસ્તાન પણ આવું કરવાનો પ્રયાસ કરી શકે છે. નવા નિયુક્ત વડાપ્રધાન માર્ક કાર્નીએ 28 એપ્રિલે તાત્કાલિક ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે.
કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઓટાવાના નવી દિલ્હી સાથેના સંબંધો ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વાસ્તવમાં કેનેડા તેની ધરતી પર સક્રિય ભારત વિરોધી તત્વો અને ખાલિસ્તાની સમર્થકોને પ્રોત્સાહન આપે છે અને ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો છે.
AI મારફતે હસ્તક્ષેપના દાવાઓ
કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર વેનેસા લોયડે જણાવ્યું હતું કે વિરોધી તત્વો ચૂંટણીમાં દખલ કરવા માટે એઆઇનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. "એવી પ્રબળ સંભાવના છે કે પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) કેનેડાની લોકશાહી પ્રક્રિયામાં દખલ કરવા માટે AI-સક્ષમ સાધનોનો ઉપયોગ કરશે જેમાં આ વર્તમાન ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. "અમે એ પણ જોયું છે કે ભારત સરકાર કેનેડિયન સમુદાયો અને લોકશાહી પ્રક્રિયાઓમાં દખલ કરવાનો ઇરાદો અને ક્ષમતા ધરાવે છે.
આવા આરોપો અગાઉ પણ લગાવવામાં આવ્યા છે
અગાઉ પણ કેનેડાએ આવા જ આરોપો લગાવ્યા છે જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ગયા વર્ષે 2019 અને 2021 કેનેડિયન ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરતી સમિતિ સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમને વિદેશી શક્તિઓ દ્વારા ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પ્રયાસોના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરના મહિનાઓમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં અભૂતપૂર્વ રાજદ્વારી મડાગાંઠ જોવા મળી છે. એકબીજા સામે આરોપો અને પ્રતિઆક્ષેપો બાદ બંને દેશોએ તેમના મિશનના વડાઓ સહિત ઘણા રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
