(Source: Dainik Bhaskar)
ઈમરાન ખાનને વિપક્ષે આપ્યો બીજો ઝટકો, હવે આ પ્રાંતના CM સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુક્યો
પાકિસ્તાનમાં વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયાના અઠવાડિયાઓ પછી આજે સોમવારે પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે.
Political Crisis in Pakistan: પાકિસ્તાનમાં વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયાના અઠવાડિયાઓ પછી આજે સોમવારે પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. ઈમરાન સરકાર સામે વિપક્ષી પાર્ટીઓએ 8 માર્ચના રોજ નેશનલ એસેંબલી સચિવાલય સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવમાં આરોપ લગાવાયો હતો કે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની નેતૃત્વ વાળી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ સરકાર દેશમાં આર્થિક સંકટ અને વધતી મોંધવારી માટે જવાબદાર છે. જે બાદ હવે વિપક્ષ પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે.
127 ધારાસભ્યોએ સહી કરીને રજુ કર્યો પ્રસ્તાવઃ
વિપક્ષી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીએ 127 ધારાસભ્યોની સહી સાથે 52 વર્ષીય બુજદાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. વિપક્ષે પોતાવિપક્ષે તેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે વિધાનસભા સત્ર બોલાવવાની પણ વિનંતી કરી હતી. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, 'બુજદારે 11 કરોડ લોકોના પ્રાંતના કામકાજો બંધારણ મુજબ ન કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં લોકશાહીની ભાવના વિરુદ્ધ કામ કર્યું.
પ્રસ્તાવ રજૂ કર્યા બાદ પીએમએલ-એન ધારાસભ્ય રાણા મશહુદે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસર અને સેનેટ સ્પીકર સાદિક સંજરાની સામે પણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. તેમણે વધુમાં કહ્યું કે, "દિવાલ પર લખેલું છે કે ઇમરાન ખાન અને ઉસ્માન બુઝદાર બંને અવિશ્વાસ પ્રસ્તાવથી બચી નહી શકે, તેથી તેમની પાસે રાજીનામું આપવાનો એકમાત્ર સન્માનજનક રસ્તો બચ્યો છે," બુઝદાર સરકારને હટાવવા માટે વિપક્ષ પાસે પૂરતી સંખ્યા છે. એક પ્રશ્નના જવાબમાં મશહુદે કહ્યું કે, નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.
PML-Q પણ વિપક્ષ સાથેઃ
પંજાબ એસેમ્બલીમાં 10 સીટ ધરાવતી અને સરકારની મુખ્ય સહયોગી પાર્ટી પીએમએલ-ક્યુએ પહેલાંથી જ વિપક્ષ સાથે હાથ મિલાવવાનો સંકેત આપ્યો છે. PML-Qએ દાવો કર્યો છે કે વિપક્ષે તેમને ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવા બદલ પંજાબના મુખ્યમંત્રી પદની ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પીટીઆઈ કોર કમિટી નવેસરથી ચૂંટણીઓ કરાવવા માટે ઈમરાન ખાનની હકાલપટ્ટીના કરવામાં પંજાબ એસેમ્બલીને વિસર્જન કરવાનું વિચારી રહી હતી.