અભિષેકની તોફાની સદી! હૈદરાબાદે પંજાબને 8 વિકેટે ધૂળ ચટાડી, IPLનો બીજો સૌથી મોટો રન ચેઝ
માત્ર 19 ઓવરમાં 246 રનનો લક્ષ્યાંક પાર, અભિષેક શર્માએ 55 બોલમાં 141 રનની ઐતિહાસિક ઇનિંગ રમી.

SRH vs PBKS IPL 2025: IPL 2025ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે કારમી હાર આપીને ઈતિહાસ રચી દીધો છે. અભિષેક શર્માની 141 રનની રેકોર્ડબ્રેક સદીની મદદથી હૈદરાબાદે પંજાબ દ્વારા આપવામાં આવેલા 246 રનના વિશાળ લક્ષ્યાંકને માત્ર 18.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આ IPLના ઈતિહાસમાં બીજો સૌથી સફળ રન ચેઝ છે.
246 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત જબરદસ્ત રહી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પ્રથમ વિકેટ માટે 171 રનની ભાગીદારી કરી હતી. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરતાં માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી ફટકારી દીધી હતી, જ્યારે ટ્રેવિસ હેડે 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પંજાબ કિંગ્સને પ્રથમ સફળતા 13મી ઓવરના બીજા બોલ પર મળી હતી, જ્યારે યુઝવેન્દ્ર ચહલે હેડને કેચ આઉટ કર્યો હતો. હેડે 37 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા.
𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯
— IndianPremierLeague (@IPL) April 12, 2025
A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪
Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w
જો કે, ટ્રેવિસ હેડના આઉટ થયા બાદ પણ અભિષેક શર્માની બેટિંગ અટકવાનું નામ નહોતી લઈ રહી. તેણે માત્ર 40 બોલમાં પોતાની ઐતિહાસિક સદી પૂરી કરી હતી. આ પછી પણ તેણે પંજાબ કિંગ્સના બોલરો પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. અભિષેક શર્મા 17મી ઓવરમાં જ્યારે આઉટ થયો ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 222 રન હતો અને ટીમને જીત માટે માત્ર 24 રનની જરૂર હતી. અભિષેકે 55 બોલમાં 10 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 141 રનની શાનદાર ઇનિંગ રમી હતી. IPLના ઈતિહાસમાં આ અભિષેક શર્માની પ્રથમ સદી છે. તેની આ ઇનિંગે ટીમને એક યાદગાર જીત અપાવી હતી.
કેપ્ટન અય્યરે ૮ બોલરોનો ઉપયોગ કર્યો!
હૈદરાબાદમાં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ અય્યરે બોલિંગમાં એક અનોખી રણનીતિ અપનાવી હતી. ટીમે કુલ ૮ બોલરોનો ઉપયોગ કર્યો હતો, જે ક્રિકેટ ચાહકો માટે આશ્ચર્યજનક બાબત હતી. પંજાબના માત્ર બે મુખ્ય બોલરો અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે જ પોતાની ચાર-ચાર ઓવરનો પૂરો ક્વોટા ફેંક્યો હતો. અર્શદીપે ૩૭ રન આપીને એક વિકેટ પોતાના નામે કરી હતી. જો કે, અન્ય બોલરો ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા.
માર્કો જાનસેન પંજાબ માટે સૌથી મોંઘો સાબિત થયો હતો, જેણે માત્ર ૨ ઓવરમાં ૩૯ રન લૂંટાવ્યા હતા. યશ ઠાકુરે ૨.૩ ઓવરમાં ૪૦ રન આપ્યા હતા, જ્યારે અનુભવી ગ્લેન મેક્સવેલે પણ ૩ ઓવરમાં એટલા જ એટલે કે ૪૦ રન આપ્યા હતા. અર્શદીપ સિવાય યુઝવેન્દ્ર ચહલને પણ એક સફળતા મળી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરનો આ બોલિંગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કેટલો સફળ રહ્યો તે મેચના પરિણામ પરથી ખ્યાલ આવશે, પરંતુ એક ઇનિંગ્સમાં આટલા બધા બોલરોનો ઉપયોગ કરવો એ ચોક્કસપણે એક રસપ્રદ વ્યૂહરચના હતી.




















