ખેડૂતો ધ્યાન આપો! 1 નવેમ્બર સુધી વરસાદની આગાહી, પાક બચાવવા માટે ખેતી નિયામકની કચેરીએ જારી કરી ખાસ ગાઈડલાઈન
Farmer Rain Guidelines: ખેતી નિયામકની કચેરીએ ખેતપેદાશોના વેચાણ અને સંગ્રહ સંબંધિત પણ મહત્ત્વની સૂચનાઓ જારી કરી છે.

Unseasonal Rain Forecast: ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી 01 નવેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ની સંભાવના છે. આ કમોસમી વરસાદથી પાકને થતા નુકસાનથી બચવા માટે, ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને કેટલીક તકેદારીના પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા તેને તાડપત્રીથી ઢાંકી દેવો તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો જેવા મહત્ત્વપૂર્ણ પગલાં લેવા જરૂરી છે. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર – 18001801551 પર સંપર્ક કરી શકાય છે.
કમોસમી વરસાદ સામે પાકનું રક્ષણ: ખેડૂતો માટે તકેદારીના પગલાં
હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, ખેતી નિયામકની કચેરીએ ખેડૂતોના તૈયાર પાકને થતા નુકસાનને ઘટાડવા માટે નીચે મુજબના મહત્ત્વના પગલાં લેવા અનુરોધ કર્યો છે. ખેડૂત મિત્રોએ આ સમયગાળા દરમિયાન ખાસ તકેદારી રાખવી જોઈએ:
- કાપણી કરેલા પાકનું સંરક્ષણ: ખેતરમાં જે પાકની કાપણી થઈ ચૂકી છે અથવા જે પાક ખુલ્લો પડ્યો છે, તેને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવી. જો પાકને ખસેડવો શક્ય ન હોય, તો તેને વરસાદથી બચાવવા માટે પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે અને ચુસ્તપણે ઢાંકી દેવો.
- ઢગલા ફરતે પાળો: પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે પ્રવેશતું અટકે અને પાકને પલળતો અટકાવી શકાય.
- જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ ટાળવો: વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે આ સમયગાળા પૂરતો જંતુનાશક દવાઓ તેમજ ખાતરનો છંટકાવ ટાળવો હિતાવહ છે.
- બિયારણ અને ખાતરની સુરક્ષા: ખેતરમાં કે સંગ્રહસ્થાનમાં રહેલા ખાતર અને બિયારણનો જથ્થો પલળી ન જાય તે રીતે તેને સુરક્ષિત અને સૂકી જગ્યાએ રાખવો.
APMC અને વેચાણ સંબંધિત સૂચનાઓ
ખેતી નિયામકની કચેરીએ ખેતપેદાશોના વેચાણ અને સંગ્રહ સંબંધિત પણ મહત્ત્વની સૂચનાઓ જારી કરી છે:
- APMC માં સુરક્ષા: APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માં રહેલા અનાજ અને અન્ય ખેતપેદાશો ને વરસાદથી બચાવવા માટે તાડપત્રીથી ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા.
- વેચાણ ટાળવું: આ દિવસો દરમિયાન ખેતપેદાશોને APMC માં વેચાણ અર્થે લાવવાનું ટાળવું અથવા જો લાવવી અનિવાર્ય હોય તો તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવી.
આ અંગે વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂત મિત્રો તેમના નજીકના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર – 18001801551 પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકે છે.





















