નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે ઉડાન યોજના અંતર્ગત પ્રથમ ક્ષેત્રીય ફ્લાઈટની શરૂઆત આવતા મહિનાથી થઈ જશે. નાગરિક વિમાન સચિવ આરએન ચૌબેએ કહ્યું કે, અમને આશા છે કે, પ્રથમ ક્ષેત્રીય ફ્લાઈટ આવતા મહિનાથી શરૂ થઈ જશે.
2/5
એર ઈન્ડિયાની પેટાકંપની તથા સ્પાઈસ જેટ સહિત કુલ પાંચ એરલાઈન્સને દેશના 70 એરપોર્ટ્સને જોડાતા 128 રૂટ પર સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ ઉડાન હેઠળ વિમાની સેવા પૂરી પાડવાની બિડમાં સફળતા મળી હતી. આ 70માંથી 31 એરપોર્ટ્સ પર હાલ કોઈ વિમાની સેવા ઉપલબ્ધ નથી અને તેમનો સમાવેશ રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ કરાયો છે, જેમાં એક કલાકની ફ્લાઈટની ટિકિટના દર પર રૂપિયા 2,500ની ટોચમર્યાદા લાગુ કરાઈ છે.
3/5
આ ફ્લાઈટ્સ ગુજરાત સહિત દેશના 20 રાજ્યોના એરપોર્ટ્સને કનેક્ટ કરશે. જેમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ તથા પુડુચેરીનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ વિમાની સેવાનો પ્રારંભ આવતા મહિનેથી થાય તેવી શક્યતા નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ આર.એન. ચૌબેએ વ્યક્ત કરી હતી. એરલાઈન્સ દ્વારા આ રૂટ્સ પર 19-78 બેઠકની ક્ષમતા ધરાવતાં એરક્રાફ્ટ ચલાવાશે.
4/5
સરકાર દ્વારા શરૂ કરાયેલી ઉડાન(ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ ઓછી હવાઈ સેવા ધરાવતા 45 એરપોર્ટ્સને આવરી લેવાશે. આ રૂટમાં વિમાની સેવા ઓફર કરવા માટે બિડિંગ કરનારી કંપનીઓના નામની જાહેરાત કરતાં નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ આર.એન. ચૌબેએ જણાવ્યું હતું કે કુલ પાંચ ઓપરેટર્સને 128 રૂટ્સની ફાળવણી કરાઈ છે. આ પાંચ ઓપરેટર્સમાં એર ઈન્ડિયાની પેટાકંપની એરલાઈન એલાઈડ સર્વિસિસ, સ્પાઈસજેટ, એર ડેક્કન, એર ઓડિશા તથા ટર્બો મેઘાનો સમાવેશ થાય છે.
5/5
ગુજરાતમાં અમદાવાદ, દ્વારકા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરત, દીવ, કંડલા રુટ પર ત્રણ વર્ષ સુધી એરલાઇન્સનો એકાધિકાર રહેશે. સરકારના જણાવ્યા પ્રમાણે એરલાઇન્સને જે પણ રુટ ફાળવવામાં આવ્યા છે ત્યાં તેમનો ત્રણ વર્ષ સુધી એકાધિકાર રહેશે. 11 કંપનીઓએ 200 રુટ માટે 45 પ્રસ્તાવ રજૂ કર્યા હતા. પહેલા તબક્કામાં 70 એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે.