Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી માંગરોળ અને કેશોદ પંથકનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.. વરસાદે વિરામ લીધા બાદ પણ પૂરના ધસમસતા પાણી હજુ સુધી ઓસર્યા નથી.. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સહિતના અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે..
માંગરોળમાં વરસેલા મુશળધાર વરસાદે ચારેય તરફ તબાહી સર્જી દીધી છે.. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા છે.. સાગર દર્શન સોસાયટી વિસ્તારમાં અંદાજીત આઠ ફુટ સુધીના પાણી ભરાયા છે.. ઘરોમાં પણ ચાર ચાર ફુટ સુધીના પાણી ઘુસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. અવરજવર કરવા માટે સ્થાનિકો સોસાયટીઓમાં હોડીનો સહારો લઈ રહ્યા છે.. આવશ્યક કામ માટે લોકો હોડી મારફતે અવરજવર કરવા માટે મજબુર બન્યા છે.. માંગરોળના હુસેનાબાદમાં પણ તબાહી જેવા દ્રશ્યો સર્જાયા.. હુસેનાબાદ ગામના વાડી વિસ્તારમાં રહેતા અંદાજિત 60 જેટલા મકાનોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે.. લોકોના ઘરોમાં નોળી નદીના પાણી ઘુસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે..
ભારે વરસાદથી માંગરોળના સમારડા, ઘોડાદ્રા સહિતના ગામો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.. વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીથી ગ્રામજનોને મુક્તિ મળી નથી.. સામરડામાં પણ ખેતરોમાં ફરી વળેલા પાણી રોડ પર આવી ગયા છે.. સામરડા સહિત સરમા, ઘોડાદર, બગસરા સહિતના ગામો પણ પાણીમાં ગરકાવ થયા છે.. સરસાલી, ઓસા જેવા ગામો પણ સંપર્ક વિહોણા બન્યા.. ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.. જૂના કોટડા ગામના વાડી વિસ્તારમાં પણ નોળી નદીના પાણીએ તબાહી મચાવી.. વાડી વિસ્તારના અનેક ખેતરો વરસાદી પાણીથી ધોવાયા છે.. પાણીના તેજ પ્રવાહમાં તણાઈને આવેલા પથ્થરો ખેતરોમાં પથરાઈ ગયા છે..

















