આ ગેંગ છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને ટાર્ગેટ કરીને મોટી ઠગાઈ કરતી હતી. તેમણે 8 વર્ષ પહેલા મુંબઈમાં પણ 1 કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યો હતો.
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી
Bhuj Angadiya Fraud Case: કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમ ટીમની મદદથી આખી ગેંગનો પર્દાફાશ કર્યો; મુંબઈમાં 1 કરોડના ફ્રોડ સહિત ગુજરાતભરના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો.

- સાયબર ક્રાઈમની મદદથી 7 વર્ષથી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ.
- વેપારી બનીને આંગડિયા પેઢીના નામે છેતરપિંડી કરતા ઝડપાયા.
- મુંબઈમાં 1 કરોડના ફ્રોડ સહિત અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા.
- વેપારીઓને સાવચેતી અને સાયબર ફ્રોડ સામે ફરિયાદની અપીલ.
Bhuj Angadiya Fraud Case: અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કરીને મોટી ઠગાઈ કરતી હતી. આ મહાઠગ ગઠિયાઓ જુદી-જુદી વસ્તુઓના વેપારી બનીને આંગડિયા પેઢીના નામે છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ મામલે કચ્છના ભુજથી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મુંબઈમાં કરેલા 1 કરોડથી વધુના ફ્રોડ સહિત અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
કોણ છે આ પકડાયેલા આરોપીઓ?
પોલીસે કચ્છના ભુજથી બે મુખ્ય માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે:
જગદીશ રસીકલાલ મણીલાલ ઠક્કર (ઉંમર 36 વર્ષ, રહે. વોકરા ફળિયા, ન્યુ રેલ્વે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ)
મુકેશ પરસોત્તમભાઈ ચેલારામ સોરઠીયા (ઉંમર 37 વર્ષ, ધંધો-વેપાર, રહે. નાગેન્દ્રપાર્ક, ખાદી ભાગ, ભુજ, કચ્છ)
કેવી રીતે કરતા હતા છેતરપિંડી?
પોલીસ તપાસમાં આ ઠગબાજોની એક નવી જ અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
સૌથી પહેલા તેઓ ગૂગલ કે યુટ્યુબ પરથી જથ્થાબંધ માલ વેચતા વેપારીઓના મોબાઈલ નંબર શોધી કાઢતા હતા.
પછી પોતે પણ મોટા વેપારી છે તેવો ડોળ કરીને ફોન કરતા અને માલના ફોટા મંગાવતા. ફોટા જોઈને મોટો ઓર્ડર આપી બિલ બનાવડાવતા.
બિલ બની ગયા પછી કહેતા કે, "મારી પાસે હાલ ઓનલાઇન પેમેન્ટની સુવિધા નથી, એટલે હું આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલી રહ્યો છું."
વેપારીને વિશ્વાસમાં લેવા તેઓ એવું પણ કહેતા કે મેં બિલ કરતાં 10 થી 15 હજાર રૂપિયા વધારે જમા કરાવ્યા છે.
બરાબર આ જ સમયે ગેંગનો બીજો માણસ પોતાનો અવાજ બદલીને 'આંગડિયા પેઢી'નો કર્મચારી બનીને વેપારીને ફોન કરતો. તે ફોન પર ખોટો ટોકન નંબર આપીને કહેતો કે તમારા પૈસા જમા થઈ ગયા છે.
છેલ્લે આરોપી ફરીથી વેપારીને ફોન કરીને કહેતો કે, "મેં જે 10-15 હજાર રૂપિયા વધારાના મોકલ્યા છે, તે મારે બીજા એક વેપારીને આપવાના છે, તો હું જે સ્કેનર મોકલું તેના પર તમે એ રકમ ટ્રાન્સફર કરી દો." બસ, આ રીતે વેપારીને ભરોસામાં લઈને તેઓ રોકડા રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
ગુજરાતથી લઈને મુંબઈ સુધી ફેલાયેલું હતું નેટવર્ક
આ ગેંગે મોબાઈલ એસેસરીઝ, કાજુ-બદામ, ઘડિયાળ, કપડાં, પાકીટ, નટ-બોલ્ટ અને મરચાં જેવી અનેક વસ્તુઓમાં વેપારીઓને ચૂનો ચોપડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુરત, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ, વાપી, મહેસાણા, પાલનપુર, ડીસા, ભાવનગર, આણંદ, ભરૂચ અને ભુજ જેવા શહેરોમાં તેમણે ઠગાઈ કરી છે. ખાસ વાત એ છે કે, 8 વર્ષ પહેલાં આ જ ગેંગે મુંબઈમાં પણ અંદાજે 1 કરોડ રૂપિયાના સામાનનો મોટો ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
પોલીસની કાર્યવાહી અને રિકવરી
અમદાવાદ શહેરના પોલીસ કમિશનરની સૂચનાથી કાગડાપીઠ પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે આ સઘન ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલની એસેસરીઝ અને રોકડા રૂપિયા મળીને કુલ 27,250 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અત્યાર સુધીમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2 અને કાલુપુર પોલીસ સ્ટેશનનો 1 ગુનો ઉકેલાઈ ગયો છે.
વેપારીઓને પોલીસની ખાસ અપીલ
આવા સાયબર ફ્રોડથી બચવા પોલીસે વેપારીઓને સાવચેત રહેવા જણાવ્યું છે:
અજાણ્યા લોકો સાથે મોટા વેપાર કરતા પહેલા તેમના વિશે પૂરતી તપાસ કરી લો.
પેમેન્ટ બેંક ખાતામાં જમા થઈ ગયાની જાતે જ ખાતરી કરો, કોઈના ફોન પર વિશ્વાસ ન કરો.
આંગડિયા પેઢીમાંથી ફોન આવે તો ત્યાં રૂબરૂ જઈને તપાસ કરવી.
અજાણ્યા લોકોને ઓનલાઈન રૂપિયા રિફંડ કે ટ્રાન્સફર કરતા પહેલા 100 વાર વિચાર કરો.
જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવો.
આ પણ વાંચોઃ સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
Frequently Asked Questions
આ છેતરપિંડી ગેંગ કેટલા સમયથી સક્રિય હતી?
આરોપીઓ કઈ રીતે વેપારીઓને છેતરતા હતા?
તેઓ વેપારીઓના નંબર શોધી, પોતે મોટા વેપારી હોવાનો ડોળ કરીને ઓર્ડર આપતા. પછી આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલવાનું કહી, ખોટા કર્મચારી બનીને વેપારી પાસેથી વધારે રકમ ટ્રાન્સફર કરાવી લેતા.
પોલીસે આરોપીઓ પાસેથી શું રિકવર કર્યું છે?
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલની એસેસરીઝ અને રોકડા રૂપિયા મળીને કુલ 27,250 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આવા ફ્રોડથી બચવા માટે વેપારીઓએ શું કરવું જોઈએ?
અજાણ્યા લોકો સાથે વેપાર કરતા પહેલા તપાસ કરવી, પેમેન્ટ જાતે કન્ફર્મ કરવું, અને આંગડિયા પેઢીમાંથી ફોન આવે તો રૂબરૂ તપાસ કરવી. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવચેત રહેવું.





















