અમદાવાદમાં રથયાત્રા પછી જગન્નાથ મંદિરના હાથી પર 43 સેકન્ડમાં 19 ફટકા: વીડિયો જોઈને પ્રાણીપ્રેમીઓમાં રોષ
Ahmedabad Jagannath Temple elephant: રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ બન્યા બાદ વધુ એક ઘટના; મંદિર પ્રશાસન દ્વારા ઢાંકપિછોડાનો પ્રયાસ, વીડિયો બીજા સ્થળનો હોવાનો દાવો.

Elephant beaten Rath Yatra: અમદાવાદમાં તાજેતરમાં સંપન્ન થયેલી 148 મી રથયાત્રા દરમિયાન એક હાથી બેકાબૂ બન્યાની ઘટનાની ગંભીરતા હજુ શમી નથી, ત્યાં જ જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી બેફામ માર મારવામાં આવતો હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ 43 સેકન્ડના વીડિયોમાં મહાવત હાથીને 19 જેટલા ફટકા મારતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, જે જોઈને પ્રાણીપ્રેમીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
વીડિયોની વિગતો અને રથયાત્રાની ઘટના સાથે સંબંધ
આ વાયરલ વીડિયો રથયાત્રા પહેલાનો છે કે પછીનો, તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. જોકે, વીડિયોમાં હાથીનો શણગાર રથયાત્રામાં જોવા મળતા ગજરાજ જેવો જ દેખાતો હોવાથી સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે 27 જૂન ના રોજ અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજે અને સિસોટીના અવાજને કારણે 'બાબુ' નામનો હાથી બેકાબૂ બન્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, ઝૂના સ્ટાફ, મહાવત અને પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.
મંદિર પ્રશાસનનો બચાવ અને ઢાંકપિછોડાનો આક્ષેપ
વાયરલ વીડિયો બાદ ABP અસ્મિતા દ્વારા જગન્નાથ મંદિરના હાથીખાનાના સંચાલક જગદીશ મહારાજનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મંદિર પ્રશાસન અને હાથીખાનાના સંચાલક દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જોવા મળ્યું. જગદીશ મહારાજે નિવેદન આપ્યું કે, વીડિયોમાં જે વ્યક્તિ હાથીને માર મારી રહ્યો છે તે હાથીખાનામાં કાર્યરત નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, બેકાબૂ થયેલા હાથીઓને સુરક્ષિત રીતે મંદિરમાં લાવવામાં આવ્યા છે.
હાથીઓને માર મારવામાં આવ્યો હોય તો તબીબોને તપાસ કરી ઈજાઓ પહોંચી છે કે કેમ તે મામલે પણ સૂચના આપવામાં આવી હોવાનું જગદીશ મહારાજે જણાવ્યું. તેમણે પોલીસનું ઉદાહરણ આપતા કહ્યું કે, ડર બતાવવા પોલીસ દંડા રાખે છે તેમ હાથીને ડર માટે મહાવત દંડો સાથે રાખતા હોય છે.
અમદાવાદમાં રથયાત્રા પછી જગન્નાથ મંદિરના હાથી પર 43 સેકન્ડમાં 19 ફટકા: વીડિયો જોઈને પ્રાણીપ્રેમીઓમાં રોષ pic.twitter.com/ftr8ulzOBE
— ABP Asmita (@abpasmitatv) June 28, 2025
વીડિયોની સત્યતા પર સવાલ અને રાજકીય આક્ષેપો
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જગદીશ મહારાજે દાવો કર્યો છે કે જે વીડિયો વાયરલ થયો છે તે જગન્નાથ મંદિરના હાથીખાનાનો નથી. તેમણે કેટલાક વિરોધી તત્વોએ મંદિર પ્રશાસનને બદનામ કરવા વીડિયો વાયરલ કર્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરી. જોકે, જ્યારે ABP અસ્મિતાએ વીડિયોમાં દેખાતા હાથીખાનાના હિસ્સા અંગે સવાલ કર્યો તો જગદીશ મહારાજે નિવેદન કર્યું કે અનેક મંદિરોમાં આ પ્રકારના બેકગ્રાઉન્ડ હોય છે.
હાથીને માર મારવાના મામલે સ્વબચાવમાં જગદીશ મહારાજે નિવેદન કર્યું કે, હાથી દરેક મહાવતના બાળક સમાન છે. જોકે, આ સ્પષ્ટતા અને દાવાઓ વચ્ચે પણ વાયરલ વીડિયો અને તેમાં દેખાતી ક્રૂરતા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાણી કલ્યાણ સંગઠનો અને પ્રાણીપ્રેમીઓ દ્વારા આ મામલે સઘન તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.





















