Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
Anand Mahi Canal Breach: આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, ઉમરેઠના મામલતદાર સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

- આણંદ ઉમરેઠ પાસે મહી કેનાલમાં મોટું ગાબડું પડ્યું.
- લાખો લિટર પાણી ખેતરોમાં ફરી વળતાં ઊભા પાકને નુકસાન.
- તંત્રએ લોકોને ખસેડ્યા, પાણી રોકવા કેનાલ ગેટ બંધ કર્યો.
- ખેડૂતોએ વળતર, ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ તપાસની માંગ કરી.
Anand Mahi Canal Breach: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા હમિદપુરાથી બેચરી ગામ વચ્ચે પસાર થતી મહી મુખ્ય કેનાલમાં અચાનક મોટું ગાબડું પડવાની ગંભીર ઘટના સામે આવી છે. થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે જે કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું, તે કેનાલ અચાનક તૂટી પડતાં વહીવટી તંત્રની કામગીરીની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિકો દ્વારા તીવ્ર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેનાલ તૂટવાને કારણે લાખો લીટર પાણી આસપાસના સીમ વિસ્તારો અને ખેતરોમાં ફરી વળ્યા છે, જેના લીધે ખેડૂતોનો તૈયાર ઊભો પાક સંપૂર્ણપણે ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં જોખમી સ્થિતિ ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને યુદ્ધના ધોરણે સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, ઉમરેઠના મામલતદાર સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પાણીના બેકાબૂ પ્રવાહને આગળ વધતો રોકવા માટે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કેનાલનો એક મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય.
Monsoon: ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો, રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર
બીજી તરફ, ખેતરોમાં પાણી ભરાઈ જવાથી આર્થિક સંકટમાં મુકાયેલા આક્રોશિત ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે હજુ હમણાં જ રિપેર થયેલી કેનાલ આટલી જલ્દી કેમ તૂટી? આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.






















