Credit Card Rule Change: શું તમારી પાસ છે આ બેન્કનું ક્રેડિટ કાર્ડ? એક જૂનથી લાગુ થઇ રહ્યો છે ફેરફાર
Credit Card Rule Change: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે.

Credit Card Rule Change: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, બેન્કો પણ આ સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે. જો તમે પણ આમાં સામેલ છો અને ખાસ કરીને કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank) ના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં 1 જૂન, 2025થી બેન્ક આમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જે તમારા ખિસ્સા પર બોજ વધારનાર સાબિત થશે. આવતા મહિનાની પહેલી તારીખથી કોટક મહિન્દ્રા બેન્ક તેની સાથે સંકળાયેલ રિવોર્ડ પોઈન્ટ સ્ટ્રક્ચર ઘટાડવા જઈ રહી છે અને ટ્રાન્જેક્શન ફીમાં વધારો કરવા જઈ રહી છે.
કોટક મહિન્દ્રા બેન્ક 1 જૂન, 2025થી તેના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત બેન્ક યુટિલિટી પેમેન્ટ્સ, શિક્ષણ, ઇંધણ, વીમા પ્રીમિયમ પેમેન્ટ અને ઓનલાઈન ગેમિંગ માટે ક્રેડિટ કાર્ડ ધારકો માટે રિવોર્ડ પોઈન્ટ્સ પર નવી મર્યાદા લાદવા જઈ રહી છે. આ ફેરફારો અલગ-અલગ ક્રેડિટ કાર્ડ પર અલગ-અલગ હશે, જેની અસર કાર્ડધારકો પર પડશે.
વ્યાજ દરમાં ફેરફાર
બેન્કની વેબસાઇટ અનુસાર, આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવનાર સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે કોટક મહિન્દ્રા બેન્ક તેના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઇનાન્સ ચાર્જ વધારવા જઈ રહી છે. જે હાલના 3.50 ટકા (વાર્ષિક 42%) ના દરથી વધીને 3.75 ટકા (વાર્ષિક 45%) થશે. કોટક પ્રીવી લીગ સિગ્નેચર કાર્ડ પર, ચાર્જ દર મહિને 2.49% થી 3.50% સુધી રહેશે, કોટક ઇન્ફિનિટ અને વ્હાઇટ સિગ્નેચર કાર્ડ પર ચાર્જ દર મહિને 3.10% થી 3.50% સુધી રહેશે. જોકે, કોટક વ્હાઇટ રિઝર્વ અને કોટક સોલિટેર જેવા પ્રીમિયમ કાર્ડ્સ તેમના વર્તમાન વ્યાજ દરો જાળવી રાખશે.
ટ્રાન્જેક્શનમાં ફેરફાર
જૂન મહિનાની શરૂઆતથી કોટક મહિન્દ્રા બેન્કના તમામ કેટેગરીના ક્રેડિટ કાર્ડ પરના ટ્રાન્જેક્શન ચાર્જમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આમાં શિક્ષણ, વોલેટ લોડ, ઓનલાઈન ગેમિંગ અને ભાડા તેમજ ઈંધણનો ખર્ચ શામેલ છે. આમાં, મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવા પર 1 ટકા ટ્રાન્જેક્શન ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, લઘુત્તમ રકમના કિસ્સામાં હવે કુલ બાકી રકમના 1 ટકા અથવા ઓછામાં ઓછા 100 રૂપિયા વસૂલવામાં આવશે.
બેન્કના Q4 પરિણામો કેવા રહ્યા?
આ મહિને કોટક મહિન્દ્રા બેન્કે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા અને તેણે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 14 ટકાનો ઘટાડો નોંધાવ્યો, જે 3551.74 કરોડ રૂપિયા થયો. જોકે, બેન્કની વ્યાજમાંથી ચોખ્ખી આવકમાં વધારો થયો અને તે વાર્ષિક ધોરણે 5.42 ટકા વધીને 7,283.57 કરોડ રૂપિયા થઈ છે.





















