યુએસ-ઈરાન તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણને કારણે નિયમો કડક કરાયા છે.
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
silver import rules tightened: વધતી આયાત અને વિદેશી હૂંડિયામણ બચાવવા લેવાયો મોટો નિર્ણય, 99.9% શુદ્ધ ચાંદી લાવવા માટે લેવી પડશે પરવાનગી; વેપારીઓ અને ઝવેરીઓની ચિંતામાં વધારો.

- દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ, ચાંદી આયાત પર કડક નિયમો.
- 99.9% શુદ્ધ ચાંદી માટે DGFTની પૂર્વ મંજૂરી ફરજિયાત બનશે.
- વધતી જતી આયાત અને ડોલર રિઝર્વ બચાવવા સરકારનો નિર્ણય.
- નવા નિયમોથી ઝવેરીઓ અને વેપારીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા.
silver import rules tightened: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુએસ-ઈરાન યુદ્ધના તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) પર વધતા દબાણને પગલે ભારત સરકારે ચાંદીની આયાત પરના નિયમો અચાનક જ ખૂબ કડક કરી દીધા છે. હવેથી 99.9% શુદ્ધતાવાળી ચાંદી વિદેશથી મંગાવવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત બની ગઈ છે. ડ્યુટીમાં વધારા બાદ લેવાયેલા સરકારના આ આકરા નિર્ણયથી બુલિયન માર્કેટ અને ચાંદીના વેપારીઓમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયાની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા અને દેશના અર્થતંત્રને બચાવવા સરકારે આ મોટું પગલું ભર્યું છે. મંગળવારે જાહેર કરાયેલા નવા આદેશ મુજબ, હવે જો કોઈ પણ વેપારી કે આયાતકારે 99.9% શુદ્ધતાવાળા ચાંદીના દાણા, પાવડર કે ચાંદીના બ્લોક વિદેશથી મંગાવવા હશે, તો તેમણે પહેલા DGFT પાસેથી માન્ય અધિકૃતતા (Authorization) એટલે કે પરવાનગી લેવી પડશે. આ મંજૂરી વગર હવે ચાંદીની આયાત થઈ શકશે નહીં.
આટલી કડકાઈ પાછળનું મુખ્ય કારણ ચાંદીની બેફામ વધેલી આયાત છે. નોંધનીય છે કે ભારત દુનિયામાં ચાંદીનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. નાણાકીય વર્ષ 2025-26 ના આંકડા પર નજર કરીએ તો, દેશે 12 બિલિયન ડોલરની ચાંદીની આયાત કરી છે (જેમાં 150% નો જંગી વધારો નોંધાયો છે), જે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર 4.8 બિલિયન ડોલર હતી. માત્ર એપ્રિલ મહિનામાં જ ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 157% વધીને 411 મિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. દેશનો રૂપિયો અને ડોલર રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) બચાવવા તેમજ બિનજરૂરી આયાત ઘટાડવા સરકારે ગયા મહિને જ સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) 6% થી વધારીને સીધી 15% કરી દીધી હતી.
આ પણ વાંચોઃ સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજે કેટલા છે ભાવ
સરકારના આ કડક વલણને કારણે હવે ઝવેરીઓ અને ચાંદીના વેપારીઓનું ટેન્શન વધી ગયું છે. નવા નિયમોને લીધે વિદેશથી ચાંદી મંગાવવાની આખી પ્રક્રિયા વધુ લાંબી અને અઘરી બની જશે. જેના કારણે માલ આવવામાં મોડું થવાની અને બજારમાં અનિશ્ચિતતા ઊભી થવાની શક્યતાઓ છે, જેનો સીધો માર વેપારીઓએ સહન કરવો પડશે.
Frequently Asked Questions
ભારતમાં ચાંદીની આયાત પરના નિયમો શા માટે કડક કરવામાં આવ્યા છે?
99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત માટે હવે શું ફરજિયાત છે?
99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત કરવા માટે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.
ચાંદીની આયાત વધારવા પાછળનું મુખ્ય કારણ શું હતું?
નાણાકીય વર્ષ 2025-26 માં ચાંદીની આયાતમાં 150% નો જંગી વધારો નોંધાયો હતો, જે ચિંતાનો વિષય બન્યો હતો.
નવા નિયમોની ચાંદીના વેપારીઓ પર શું અસર થશે?
નવા નિયમોને લીધે આયાત પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ બનશે, જેનાથી બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે.





















