ગુજરાત વિધાનસભામાં 'અશાંતધારા સુધારા વિધેયક' રજૂ થયું, જેનાથી મિલકતોનું ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનું અટકાવી શકાશે.
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ રજૂ: મંત્રી સંજયસિંહે ઉઠાવ્યો 'લેન્ડ જેહાદ' નો મુદ્દો, તો ભાજપના જ ધારાસભ્યે કાઢ્યો બળાપો
કાયદામાં 2 નવી વ્યાખ્યા ઉમેરાઈ: હવે મિલકત પચાવી પાડનારાઓ સામે કલેક્ટર 6 મહિનામાં લઈ શકશે કડક એક્શન.

ગુજરાત વિધાનસભામાં આજે મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ મહત્વપૂર્ણ એવું 'અશાંતધારા સુધારા વિધેયક' (Disturbed Areas Amendment Bill) રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતી વખતે મંત્રીએ ગૃહમાં દાણીલીમડા અને કાશ્મીરનું ઉદાહરણ આપીને 'લેન્ડ જેહાદ' અને 'લવ જેહાદ' ના કારણે બહુમતી સમાજની થતી હિજરત પર ગંભીર અને આકરા નિવેદનો આપ્યા હતા. નવા સુધારા મુજબ હવે કોઈ માથાભારે તત્વો ગરીબ કે નાના માણસની મિલકત પચાવી નહીં પાડી શકે, કારણ કે કાયદામાં કલેક્ટરને વધુ સત્તા આપવામાં આવી છે અને મોનિટરિંગ કમિટીની નવી જોગવાઈ કરાઈ છે. જોકે, ગૃહમાં જ્યારે આ બિલની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્ય અમિત ઠાકરે અશાંત વિસ્તારમાં આવતા કોર્પોરેશનના પ્લોટની હરાજી ન થવા મુદ્દે પોતાનો ભારે બળાપો કાઢ્યો હતો.
મંત્રીના ગંભીર આક્ષેપો: "દાણીલીમડામાં હવે સમ ખાવા પૂરતા હિંદુઓ નથી"
વિધાનસભામાં બિલ રજૂ કરતા મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ ઐતિહાસિક અને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપતા કડક શબ્દોમાં વાત રજૂ કરી હતી. એન્ફિલ્ડ રાઈફલના કારતુસમાં ગાયની ચરબીના ઉપયોગનો ઇતિહાસ યાદ કરાવતા તેમણે કહ્યું કે સદીઓ પહેલા જે હુમલા થયા તે માત્ર લૂંટફાટ નહોતી, પણ આપણી સંસ્કૃતિ પરનો હુમલો હતો. તેમણે દાણીલીમડા વિસ્તારનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક સમયે ત્યાં હિંદુઓ વસવાટ કરતા હતા, પણ આજે ત્યાં સમ ખાવા પૂરતા હિંદુઓ નથી રહ્યા. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'લેન્ડ જેહાદ' અને 'લવ જેહાદ' ના કારણે બહુમતી સમાજે હિજરત કરવી પડી છે, પરંતુ કાશ્મીરથી શરૂ થયેલો આ હિજરતનો સિલસિલો હવે ભાજપ સરકારે અટકાવી દીધો છે. અશાંતધારા જેવી સ્થિતિ રાતોરાત નથી સર્જાતી, તેને બનવામાં વર્ષો લાગી જાય છે.
કાયદામાં શું થયા નવા સુધારા? કલેક્ટરને મળી વધુ સત્તા
આ કાયદાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે તેમાં 2 નવી વ્યાખ્યાઓ ઉમેરવામાં આવી છે. પહેલી છે 'દેખરેખ અને સલાહકાર સમિતિ' (મોનિટરિંગ કમિટી) અને બીજી છે 'નારાજ થયેલ વ્યક્તિ' નો વ્યાપ વધારવો. મંત્રીએ જણાવ્યું કે આ સુધારાથી મિલકતોની ખોટી તબદીલીઓ (ટ્રાન્સફર) રોકી શકાશે. હવે કલેક્ટર મિલકત લેનાર અને વેચનારની સંમતિથી ઝીણવટભરી તપાસ કરી શકશે અને નારાજ વ્યક્તિની સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.
જો કોઈ મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી હશે, તો તેને 6 મહિનાની અંદર મૂળ સ્થિતિમાં પરત લાવવાની કડક જોગવાઈ કરવામાં આવી છે. જો મિલકત પરત કરવામાં કોઈ ચૂક થશે, તો કલેક્ટર સીધો જ તે મિલકતનો કબજો પોતાના હાથમાં લઈ શકશે. આ ઉપરાંત, નવી બનેલી મોનિટરિંગ કમિટી પરિસ્થિતિનો અભ્યાસ કરીને રાજ્ય સરકારને સૂચનો કરશે, જેના આધારે સરકાર જાહેરનામું બહાર પાડીને કોઈ પણ નવા વિસ્તારને 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરી શકશે.
ભાજપના જ MLA અમિત ઠાકરે કાઢ્યો બળાપો
એક તરફ ગૃહમાં અશાંતધારા બિલને કડક બનાવવાની અને સરકારની કામગીરીની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ગૃહમાં જ પોતાની નારાજગી વ્યક્ત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે અશાંત વિસ્તારમાં આવેલા સરકારી પ્લોટની હરાજી સંદર્ભે બળાપો કાઢતા કહ્યું કે, "જે વિસ્તારમાં કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે ત્યાં અશાંતધારો લાગુ છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોર્પોરેશનના પ્લોટની હરાજી કરવામાં નથી આવી." અશાંતધારા સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન જ તેમના આ નિવેદનથી ગૃહમાં ગરમાવો આવી ગયો હતો.
Frequently Asked Questions
ગુજરાત વિધાનસભામાં કયું મહત્વપૂર્ણ વિધેયક રજૂ થયું?
'લેન્ડ જેહાદ' અને 'લવ જેહાદ' નો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો?
મહેસૂલ મંત્રીએ દાણીલીમડા અને કાશ્મીરનું ઉદાહરણ આપીને જણાવ્યું કે આ કારણોસર બહુમતી સમાજે હિજરત કરવી પડી છે.
નવા સુધારા મુજબ કલેક્ટરને કઈ સત્તાઓ મળશે?
નવા સુધારા મુજબ કલેક્ટરને મિલકત લેનાર અને વેચનારની સંમતિથી ઝીણવટભરી તપાસ કરવાનો અને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી મિલકતનો કબજો લેવાનો અધિકાર મળશે.
મોનિટરિંગ કમિટીની શું ભૂમિકા રહેશે?
નવી બનેલી મોનિટરિંગ કમિટી પરિસ્થિતિનો અભ્યાસ કરીને રાજ્ય સરકારને સૂચનો કરશે, જેના આધારે નવા વિસ્તારને 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરી શકાશે.























